Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

રાઇડ્સ દુર્ઘટના બાદ કઠોર નિયમ ઘડવા માટેનો નિર્ણય

નિયમો ઘડી કાઢવા સમિતિની રચનાનો નિર્ણય : રાઇડ્સ તુટી પડવાની ઘટના બાદ તરત કાર્યવાહીના કારણે વધારાની જિંદગી બચાવાઈ : ચાર-ચાર લાખની સહાયતા

અમદાવાદ,તા.૧૯ : કાંકરીયા ખાતે એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાની ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતા એકપણ વધારાની જીંદગી ગુમાવવી ન પડી હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વિધાનસભાના નિયમોના નિયમ – ૧૧૬ હેઠળ તાકીદની જાહેર અગત્યની બાબત અંગે ગૃહમાં પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કાંકરીયા ખાતે એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાની ઘટનામાં બે વ્યક્તિના સ્થળ પર મૃત્યું થયા હતા. જ્યારે ૨૯ જેટલા ઇજાગ્રસ્તોને મ્યુ. કોર્પોરેશનની ટીમ, પોલીસ, ફાયરબ્રિગ્રેડ અને ૧૦૮ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્વરિત સારવાર મળી રહે તે માટે તમામ ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાઇડમાં કુલ ૩૧ વ્યક્તિઓ બેસેલી હતી, જે પૈકી ૦૨ વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયેલ હતા. જ્યારે ૨૯ ઇજાગ્રસ્તો પૈકી ગંભીર ઇજા પામેલા ૧૦ વ્યક્તિઓને ઓપરેશન કરવામાં આવ્યા હતા. જે પૈકી અત્યંત ગંભીર એક વ્યક્તિને તબીબોએ તાકીદની સારવાર આપતા જીવ બચાવી શકાયો હતો. ૧૭ ઇજાગ્રસ્તોની હાલમાં સારવાર હેઠળ છે. ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે જવાબદારો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે હેતુસર રાજ્યમાં નિયત મંજૂરીથી ચાલતી તમામ રાઇડ્ઝનું પુનઃ પરિક્ષણ અને નિરીક્ષણ કરવા તથા મંજૂરી વગર ચાલતી તમામ રાઇડ્ઝ તાત્કાલિક અસરથી બંધ કરવા અથવા કરાવવા તમામ પોલીસ કમિશ્નર અને જિલ્લા મેજીસ્ટ્રેટને  સૂચના આપવામાં આવી છે. આ ઘટના પ્રત્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરીને મૃતકોના વારસોને મુખ્ય મંત્રી રાહત ફંડમાંથી ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરેલ છે. તેમજ, આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આપેલ સૂચનાને પગલે અન્ય રાજ્યોમાં એમ્યુઝમેન્ટના સ્થળો અને સાધનો માટે કેવા ધારા – ધોરણો છે તથા બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડના માપદંડો તેમજ વિદેશોમાં તેમજ વિશાળકાય રાઇડ્ઝ માટે કેવા ધારા-ધોરણો અનુસરવામાં આવે છે તે અંગેનો અભ્યાસ કરી જરૂરી નિયમો બનાવવા માટે સૂચન કરવા માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને સમિતિ બનાવવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું. આ સમિતિનો અહેવાલ મળ્યા બાદ એમ્યુઝમેન્ટ પાર્ક અંગેના નવા નિયમો ઘડવામાં આવશે.  એમ્યુઝમેન્ટ પાર્ક માટેનાં નવા નિયમો બનાવવા માટે નીમાયેલ કમિટીમાં આર એન્ડ બી વિભાગના અધિક મુખ્ય સચિવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પણ કમિટીમાં સામેલ કરાયા છે. આ ઉપરાંત વૈધાનિક અને માર્ગ અને મકાન વિભાગના સચિવને પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગૃહ વિભાગના અધિક સચિવના અધ્યક્ષ સ્થાને બનેલી આ કમિટી રાજ્ય અને દેશ બહારના એમ્યુઝમેન્ટ પાર્કનો અભ્યાસ કરશે. વિદેશમાં જઈને પણ આ કમિટી ત્યાં ચાલતાં એમ્યુઝમેન્ટ પાર્ક અને ત્યાં ચાલતી જાયન્ટ રાઈડ્સનો અભ્યાસ કરશે. અહીં સેફ્ટીની કેવી સુવિધા છે, કેવી મશીનરીનો ઉપયોગ થાય છે સહિતની વસ્તુઓ પર આ કમિટી અભ્યાસ કરશે. પૂરતા અને પુખ્ત અભ્યાસના અંતે ગુજરાતમાં રાઈડ્સ અંગેના નિયમો બનાવવામાં આવશે કે જેથી રાજયમાં આ પ્રકારની બીજી કોઇ દુર્ઘટના સર્જાય નહી અને નિર્દોષ વ્યકિતઓના જીવ ગુમાવાય નહી. આ માટે સરકાર હવે ગંભીરતાથી સમગ્ર નીતિ નક્કી કરી રહી છે. આવનારા દિવસોમાં તેની કડક અમલવારી કરાશે.

 

(8:19 pm IST)