Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

મોદી અસરગ્રસ્તોને મળી કેન્દ્રીય સહાય આપે

કોંગી અગ્રણી શકિતસિંહ ગોહિલનો મુખ્યમંત્રી રૂપાણીને પત્ર

અમદાવાદ તા.૧૯: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર અતિવૃષ્ટિમાં સપડાયેલો છે. આ સંજોગોમાં સરકાર તરફથી તાત્કાલિક તકેદારી બચાવ રાહત અને પુનઃવસનની કામગીરી કરવા માગ કરી કુદરતી પ્રકોપના સહયોગ આપવા ખાતરી આપવામાં આવી છે ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલા પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ રદ કરાયો છે તે યથાવત રાખી તેઓ અસરગ્રસ્તોને જમીન પર ઉતરીને મળે તથા પૂરતી કેન્દ્રીય સહાય માત્ર જાહેરાત રૂપે નહી પરંતુ વાસ્તવિક રીતે આપે તેવી વિનંતી કરી છે.

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદ બાદ પાણી હજુ ઉતર્યા નથી અને લોકો મુશ્કેલીમાં છે. કોંગ્રેસના નેતાઓ ગુરૂવારથી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના છે ત્યારે શકિતસિંહ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, કુદરતી આફત સમયે રાજકીય નેતાઓના પ્રવાસ રદ કરવા જોઇએ પરંતુ સત્તામાં બેઠેલા રાજકીય નેતાઓએ રાહત કામગીરી માટે લોકોની વચ્ચે જવું જોઇએ. આ સાથે શકિતસિંહે પોતાના પત્રમાં જણાવ્યું કે, કુદરતી પ્રકોપ સમયે કોંગ્રેસ તરફથી સરકારી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. તેમણે વધુમાં પત્ર દ્વારા માગણી કરી છે કે, પ્રભાવિત વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી,ફુડ પેકેટ, જરૂરી દવાઓ અને હંગામી આશ્રયસ્થાનો ઉભા કરીને કેશડોલની ચુકવણી શરૂ કરવામાં આવે, ખેતીની જમીનોના ધોવાણ થયાના કિસ્સામાં મફત બિયારણની જોગવાઇ અને જમીન નવ સાધ્ય કરવા માટે પૈસા આપવામાં આવે,ગરીબો,દલિતો,ખેતમજુરો વગેરે લોકોનું પુનઃવસન કરવામાં આવે, કંટ્રોલ રૂમની વ્યવસ્થામાં ફરિયાદનો નિકાલ થતો ન હોવાથી સુધારો કરવામાં ાવે મરેલા પશુઓનો તાત્કાલિક નિકાલ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, જે માર્ગ ધોવાઇ ગયા છે તેને વાહન વ્યવહાર યોગ્ય બનાવો. વીજ જોડાણ વહેલીતકે પુનઃસ્થાપિત કરવામાં આવે, નબળા અને જર્જરિત મકાનો શોધી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તથા ૨૦૧૭માં ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિગ્રસ્તથી ભયંકર નુકસાન થયું હતું તેમને જાહેરાત મુજબની રાહત મળી નથી તે આપવા માંગ કરી છે.(૭.૮)

 

(11:46 am IST)