Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગુજરાત સ્તરના યોગ દિવસની ઉજવણી અમદાવાદમાં કરાશે

સરદાર પટેલ સ્ટેડિયમમાં વિશેષ આયોજન થશે : ૧૦૦૦૦થી પણ વધુ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પાંચ લાખ લોકો જોડાશે

અમદાવાદ,તા.૧૮ : વિશ્વ યોગ દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ગુજરાતમાં રાજ્યસ્તરના વિશ્વ યોગ દિવસની ઉજવણી અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ૧૦ હજારથી પણ વધુ લોકો ઉપસ્થિત રહેશે. સમગ્ર અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પાંચ લાખથી પણ વધુ લોકો કાર્યક્રમમાં ભાગ લેશે. વિશ્વ યોગ દિવસને સફળ બનાવવા ભવ્ય આયોજન કરાયું છે. વડાપ્રધાન મોદીના પ્રયાસોથી વર્ષ-૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સમાં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. વર્ષ-૨૦૧૫થી વિશ્વના અનેક દેશોમાં ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવતા આવ્યા છે. આજ સ્વીકૃતિને વધુને વધુ વ્યાપક અને સર્વ સમાવેશક બનાવવાના હેતુ સાથે છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં તા.૨૧ જૂનના રોજ ૪થા વિશ્વ યોગ દિવસની રાજ્યક્ક્ષાની ઉજવણી શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવનાર છે. રાજય સરકાર અને પતંજલિ યોગપીઠ દ્વારા યોગ દિવસની ઉજવણીને મહત્તમ સફળ બનાવવાના અસરકારક પ્રયાસો હાથ ધરાયા છે. રાજ્ય સરકાર અને પતંજલી યોગ પીઠના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અંદાજે ૧૦,૦૦૦ જેટલા લોકો એક સાથે યોગ કરશે.આ ઉપરાંત અમદાવાદ કલેકટર અને મહાનગરપાલિકાના સંયુકત પ્રયાસોથી સમગ્ર અમદાવાદમાં જુદા જુદા વોર્ડ, શાળા-કોલેજ કેમ્પસ, બાગ-બગીચા અને કોમ્પ્લેક્ષ જેવી વિવિધ જગ્યાઓ ઉપર અંદાજે પાંચ લાખથી વધુ લોકો યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર બનશે. આ દિવસે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રમત ગમત, સાહિત્ય, ઉદ્યોગ અને ફિલ્મ જગતની વિવિધ સેલિબિટિઝને ખાસ આમંત્રિત કરવામાં આવશે. વિશ્વ યોગ દિવસ એ સમગ્ર રાજ્યનો યોગ દિવસ બની રહે અને તમામ ગુજરાતીઓ જોડાય તેવા હેતુથી ગામ, તાલુકા, શેહરો અને જિલ્લા મથકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં યોગ દિવસના સુચારૂ આયોજન માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની સમિતિ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજ, યુનિવર્સિટી, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંગઠનો ભાગ લેશે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રયાસોથી તેમના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં યોગ દિવસની ઉજવણીમાં જોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વર્ષ વિશ્વ યોગ દિવસ તા. ૨૧-૬-૨૦૧૫ના રોજ ૧૦૮.૮૭ લાખ, દ્વિતીય વિશ્વયોગ દિવસ, તા.૨૧-૬-૨૦૧૬ના રોજ ૧૦૩.૭૩ લાખ અને તૃતિય વિશ્વયોગ દિવસ તા.૨૧-૬-૨૦૧૭ના રોજ ૧૧૬.૫૫ લાખ વ્યકિતઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ જ રીતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર રાજ્યમાં જનભાગીદારી વધે એ પ્રકારનું આયોજન રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

 

યોગ દિવસમાં હાજરી..

અમદાવાદ, તા.૧૮ : ગુજરાતમાં યોગ દિવસની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચોથા યોગ દિવસને લઇને વધુને વધુ લોકો જોડાય તે પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે. વિતેલા વર્ષોમાં યોગ દિવસના પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. વર્ષ ૨૦૧૪માં ભારતીય યોગને વૈશ્વિક સ્વિકૃતિ મળી હતી. ત્યારબાદથી કયા વર્ષે કેટલા લોકો યોગદિવસમાં જોડાયા તે નીચે મુજબ છે.

વર્ષ................................................. લોકોની સંખ્યા

૨૦૧૫............................................ ૧૦૮.૮૭ લાખ

૨૦૧૬............................................ ૧૦૩.૭૩ લાખ

૨૦૧૭............................................ ૧૧૬.૫૫ લાખ

(8:49 pm IST)