Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સુરતના વરાછા વિસ્તારમાં કારખાનામાં સૌરાષ્ટ્ર્ના રત્નકલાકારની હત્યા : ચકચાર

ભાવનગરના ઉસડ ગામનો નરેશ નામનો વ્યક્તિનો કારખાનામાંથી મૃતદેહ મળ્યો

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કારખાનામાં રત્નકલાકારની હત્યા થઈ છે. મળતી માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ભાવનગરના ઉસડ ગામનો નરેશ નામનો વ્યક્તિ કામ કરતો હતો. સવારના સમયે જ્યારે રત્નકલાકારો જ્યારે કારખાનામાં આવ્યા ત્યારે તેમને નરેશનો મૃતદેહ કારખાનામાંથી મળી આવ્યો હતો. તેથી રત્નકલાકારોએ આ બાબતે પોલીસને માહિતી આપતા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. DCP અને ACP સહિતના પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળ પર પહોચ્યા હતા.

પોલીસે રત્નકલાકાર નરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે જ્યારે ઘટના સ્થળની તપાસ કરી ત્યારે પોલીસને યુવકના મૃતદેહ પર કેટલીક ઇજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસને આશંકા છે કે, રાત્રિના સમયે કેટલાક ઇસમો દારૂ પીવા માટે એકઠા થયા હતા અને દારૂ પીતા સમયે આ ઇસમોને ઝઘડો થતાં નરેશની હત્યા થઈ હોય શકે છે. પણ હાલ પોલીસ દારૂની વાત બાબતે કઈ કહેવા માટે તૈયાર નથી. પોલીસને જાણવા મળ્યું છે કે, મૃતક વ્યક્તિના પેટ પર કાળા ચાઠા પડી ગયા છે અને જમણા પગના ભાગે ફ્રેકચર થયું છે. આ બાબતે DCP સજ્જણસિંહ પરમારે જણાવ્યુ હતું કે, મૃતક વ્યક્તિ તળાજાનો છે અને તે કારખાનામાં જ સૂતો હતો.

(12:51 am IST)