Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સુરતમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા તાપી નદી કિનારે હોમ હવન અને આઇસોલેશન વોર્ડ બનાવીને કોરોનાગ્રસ્તોને સાજા કરવાની કામગીરી

સુરત: કોરોનાના દર્દીને સાજા કરવા માટે દેશી ઉપચાર બહુ ઉપયોગી નીવડી રહ્યાં છે. ત્યારે સુરતમા સ્વામિનારાયણ મંદિર દ્વારા હોમ હવન યજ્ઞ દ્વારા કોરોનાના દર્દીઓને સાજા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત ખાતે તાપી કિનારે આઇસોલેશન વોર્ડ બનાવી દર્દીઓને પ્રકારે ટ્રીટમેન્ટ આપવામા આવી રહી છે. આઈસોલેશન વોર્ડમાં ઓક્સિજન સહિતની તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે. ભારતમાંથી કોરોના નાબૂદ થાય તેવા શુભ હેતુથી અહી યજ્ઞનો આરંભ થયો છે.

સુરતના મોટા વરાછા સ્વામિનારાયણ મંદિર દ્વારા છેલ્લા 15 દિવસથી હોમ હવન યજ્ઞ કરાઈ રહ્યુ છે. સાથે આઇસોલેશન વોર્ડ શરૂ કરી દર્દીઓની સેવા કરી સાજા કરવામાં આવે છે. તાપી કિનારે કોરોના આઇસોલેશન વોર્ડ બનાવી દર્દી નારાયણની સેવા કરવામાં આવે છે. આઇસોલેશન વોર્ડમાં છેલ્લા 15 દિવસથી યજ્ઞ કરાઈ રહ્યો છે. જેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઈ રહ્યા છે.

ઓક્સિજન કીટ સહિતની મેડિકલ સુવિધાઓ આઇસોલેશન વોર્ડમાં ઉપસ્થિત છે. ઓક્સિજનની અછત હોય તેવા દર્દીઓની પણ સારવાર કરવામાં આવી છે. સ્વામી નિત્યસ્વરૂપ દાસજી સરધારવાળાના માર્ગદર્શન હેઠળ કોવિડ કેર સેન્ટર શરૂ કરી કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા શરૂ કરવામાં આવી છે. સાથે ગોપાળાનંદસ્વામી રચિત મંત્રોચ્ચારથી યજ્ઞ થઈ રહ્યો છે. જેને કારણે વાતાવરણ શુદ્ધિ સાથે દર્દીઓના રિકવરી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વ અને ભારત અને ભારતમાંથી કોરોના નાબૂદ થાય તેવા શુભ હેતુથી યજ્ઞનો આરંભ થયો છે.

(4:51 pm IST)