Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

તૌકતે વાવાઝોડાની ઈફેક્ટ : અમદાવાદમાં ધોધમાર વરસાદ : અનેક સ્થાળોએ ઘૂટણ સુધી પાણી ભરાયા

ચંડોળા તળાવ નજીક ભારે તારાજી : કાચી દુકાનો, મકાનોના સેડ વાવાઝોડામાં ઉડ્યા : અનેક જગ્યાએ કન્સ્ટ્રક્શન સાઈટ પર પાણીના તળાવ ભરાયા

અમદાવાદ : તૌકતે વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારમાં ઘૂટણ-ઘૂટણ સુધી પાણી ભરાયા હતા, અનેક લોકોના ઘર અને વાહનોમાં પણ પાણી ઘૂસ્યા હતા

અમદાવાદમાં સરસપુર ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાય ગયા છે. હરિભાઈ દવાખાના પાસે પાણી ભરાય ગયા છે. આથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. તેમજ સરસપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર દિનેશ કુશવાહની ઓફિસમાં પણ પાણી ભરાય ગયું છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ધોલેરામાં પણ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. વાવાઝોડાના કારણે ધોલેરામાં પવન સાથે ભારે વરસાદી માહોલ સર્જાયો હતો. સાથે જ વીજ પૂરવઠો પણ ખોરવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદ અને પવનને કારણે બગોદરા-ભાવનગર વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.

અમદાવાદમાં ચંડોળા તળાવ નજીક ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. કાચી દુકાનો, મકાનોના સેડ વાવાઝોડામાં ઉડ્યા છે. તેમજ અનેક મકાનોના છાપરા ભારે પવનના ઉડી ગયા છે. પવન સાથે વરસાદ અને ભારે પવનને કારણે લોકોની મુશ્કેલી વધી છે. તો આ તરફ નિકોલમાં પણ  અનેક જગ્યાએ કન્સ્ટ્રક્શન સાઈટ પર પાણીના તળાવ ભરાયા હતા

અમદાવાદના અસ્ટોડિયા વિસ્તારમાં વાવઝોડાની તબાહીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં વિશાળ ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું છે. અને આ વૃક્ષ ધરાશાયીના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. એક વ્યક્તિ દબાઇ જતા તંત્ર તેનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું . 

(11:34 pm IST)