Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં દર્દીને પીવાના પાણીના પણ ફાંફાઃ સારવારમાં રહેલા દર્દીએ પોતાની વદના સોશ્‍યલ મીડિયામાં ઠાલવી

અમદાવાદ: અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલની સ્થિતિ હાલ સૌથી ખરાબ છે. હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો અને અંદર દર્દીઓનો ભરાવો. આવામાં સિવિલ હોસ્પિટલની બદહાલીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં કોરોના દર્દીએ પોતાની વેદના વ્યક્ત કરી છે કે, હોસ્પિટલમાં તેમને પીવાનું પાણી પણ આપવામાં નથી આવી રહ્યું.

બોટલ ચઢાવવામાં આવેલી હોય તો તે પાણી કેવી રીતે પીવું?

હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે, ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોવાની વાત મહિલા દર્દીએ વીડિયોમાં કહી છે. મહિલા દર્દીએ સોલા સિવિલ વીડિયો બનાવીને કહ્યું કે, દર્દી ઓક્સિજન પર હોય, બોટલ ચઢાવવામાં આવેલી હોય તો તે પાણી કેવી રીતે પીવે? અમને જે પાણી આપવામાં આવે છે તે ખૂબ જ ઓછું હોય છે, પરંતુ પાણી પણ આપવામાં આવતું નથી. કોરોનાના દર્દીની સાથે હોસ્પિટલમાં તેના સગાને પ્રવેશ આપી શકાતો નથી એવામાં દર્દીને પાણી પીવું હોય તો તેના માટે મુશ્કેલ થઈ જાય છે. જોકે મહિલા દર્દીએ સોલા સિવિલ હોસ્પિટલમાં મળી રહેલી અન્ય સારવાર, સુવિધા અને સાફ સફાઈથી સંતોષ પણ વ્યક્ત કર્યો છે.

સુરતના સાંસદે હોસ્પિટલમા પાણી અંગે ફરિયાદ કરી

ઉલ્લેખનીય છે કે, સુરતના સાંસદ દર્શના જરદોશે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી કે, હોસ્પિટલમાં યોગ્ય પ્રમાણમાં પીવાનું પાણી પણ નથી પહોંચાડવામાં આવ્યું એવી અનેક ફરિયાદો મળી રહી છે, જે ચિંતાજનક છે. સરકાર દ્વારા સિવિલ ખાતે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ એ કોન્ટ્રાક્ટર દ્વારા ભોજન કેવું અને ક્યારે આપવામાં આવે છે. એની ચિંતા કરવી પડશે એવી સ્થિતિ છે.

હાલ અમદાવાદ સિવિલ કેમ્પસમાં કુલ 2312 દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ કેમ્પસમાં કુલ 97 ટકા બેડ કોરોના દર્દીઓથી હાઉસફૂલ છે. છેલ્લા 24 કલાકમાં 348 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. તો ગઈકાલે 210 દર્દીઓ 1200 બેડ હોસ્પિટલમાં, 12 દર્દીઓ કેન્સર હોસ્પિટલમાં, 56 દર્દીઓ મંજુ શ્રી કમ્પાઉન્ડમાં અને 70 દર્દીઓ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સિવિલ કેમ્પસમાં કોરોના દર્દીઓ માટે 2388 બેડ ઉપલબ્ધ છે. છેલ્લા એક મહિનામાં 86 ડોક્ટરો સહિત અનેક આરોગ્યકર્મીઓ સંક્રમિત થયા છે. અત્યાર સુધી સિવિલ કેમ્પસના કુલ 624 જેટલા આરોગ્યકર્મીઓ સંક્રમિત થયા છે. સતત વધી રહેલા કોરોનાના કેસોને જોતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જે.પી.મોદીએ પણ લોકો સ્વયંભૂ લોકડાઉન કરે અને માસ્ક પહેરે તેવી અપીલ કરી છે.

(4:56 pm IST)