Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

કોરોનાને નાથવા ગુજરાતમાં પ્રથમ ધટના :વલસાડ જિલ્લામાં તા.૨૦ મી એપ્રિલથી દશ દિવસ સુધી સ્‍વૈચ્‍છિક લોકડાઉન:આવશ્‍યક સેવાઓ ચાલુ રહેશે :ઔદ્યોગિક એકમોને મુક્‍તિ રહેશે

' અકિલા' સાથે જિલ્લા કલેકટર આર.આર.રાવલએ વલસાડ જિલ્લાને સંદેશો આપ્યો છે કે એક એક વ્યક્તિ, એક એક કુટુંબ,એક એક ગલી,એક એક ગામ, અને વલસાડ શહેર કોરોના મુક્ત રહે:કોરોનાની ચેન તોડવા માટે એક એક નાગરીક પોતાની સલામતી અને સુરક્ષાની જવાબદારી સમજી નાગરીક ધર્મ બજાવે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : રાજ્‍ય સહિત વલસાડ જિલ્લામાં વકરી રહેલા કોરોના સંક્રમણને રોકવા જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ રાઉન્‍ડ ધી કલોક કામગીરી કરવામાં આવી રહી છે. વૈશ્વિક મહામારીને ધ્‍યાને રાખી કોરોનાથી જિલ્લાની પરિસ્‍થિતિ વધુ વકરે નહીં તેમજ વલસાડ જિલ્લાની જનતાની સુરક્ષા માટે આજે જિલ્લા કલેક્‍ટરશ્રી રાવલની અધ્‍યક્ષતામાં જિલ્લાના તમામ એસોસીએશનો, પ્રતિષ્‍ઠિત નાગરિકો, ડોકટર એસોસીએશન, બિલ્‍ડર એસોસીએશન, હોટલ એસોસીએશન અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થા સંગઠનોના આગેવાનો સહિત ધારાસભ્‍યોની મળેલી બેઠકમાં સર્વેના એક સૂરે સર્વસંમતિથી જિલ્લા કલેક્‍ટરની અપીલને માન આપીને મંગળવાર તા.૨૦/૪/૨૦૨૧થી ૧૦ દિવસનું સ્‍વૈચ્‍છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્‍યું છે. આ સ્‍વૈચ્‍છિક લોકડાઉનમાં જિલ્લાના તમામ પ્રજાજનો સાથ અને સહકાર આપે તે જરૂરી હોવાનું પણ વધુમાં જણાવ્‍યું છે. આ સ્‍વૈચ્‍છિક લોકડાઉન દરમિયાન તમામ આવશ્‍યક સેવાઓ ચાલુ રહેશે. આ લોકડાઉન દરમિયાન કોઇપણ વ્‍યક્‍તિને મુશ્‍કેલી કે અન્‍ય કોઇ જરુરિયાત જણાય તો જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક સાધવા જણાવાયું છે. આ સ્‍વૈચ્‍છિક લોકડાઉનમાં જિલ્લાના ઔદ્યોગિક એકમોને મુક્‍તિ રહેશે.
આ બેઠકમાં ધારાસભ્‍યો સર્વે કનુભાઇ દેસાઇ, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, તમામ એસોસીએશનનના પ્રમુખો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના આગેવાનો, પ્રતિષ્‍ઠિત નાગરિકો સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

(9:38 pm IST)