Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ન્યાય અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકશે : રાહુલગાંધીનો દાવો

બારડોલીની પ્રચારસભામાં રાહુલગાંધીના તીવ્ર પ્રહારો : નોટબંધી અને જીએસટીના લીધે ખુબ કફોડી હાલત થયા બાદ ન્યાય યોજના દ્વારા રોજગારીની તકો સર્જાશે : રાહુલગાંધી

અમદાવાદ,તા. ૧૯ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર જારી રાખ્યો હતો. આજે રાહુલે ફરી એકવાર ન્યાય યોજનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, લઘુત્તમ આવક યોજના અથવા તો ન્યાય યોજનાથી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવામાં આવશે. તેમણે ઉમેર્યું તું કે, આનાથી દેશમાં રોજગારીની તકો ઉભી થશે.  નોટબંધી અને જીએસટીના કારણે લોકોની હાલત કફોડી થઇ છે. રાફેલના મુદ્દાને ઉઠાવતા કહ્યું હતું કે, રાફેલ વિમાન સોદાબાજીમાં અનિલ અંબાણીને ૩૦૦૦૦ કરોડ રૂપિયા આપી દીધા છે. અમે સૌથી ગરીબ લોકોને વાર્ષિક ૭૨૦૦૦ રૂપિયા આપીશું જે ગરીબોની સ્થિતિમાં સુધારો કરશે. લોકસભા ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બારડોલીમાં મોદી સરકાર પર આજે ફરી એકવાર સીધા અને આકરા પ્રહારો કર્યાં હતાં. રાહુલ ગાંધીએ મોદીને આડેહાથ લેતા કહ્યું હતું કે, ચોકીદાર ચોર તો છે જ પણ હવે અંબાણીના ઘરે જોવા મળે છે. ગરીબોના કે ખેડૂતોના ઘરે ક્યારે દેખાતા નથી. મોદીની યોજનાઓ અને વાયદાઓ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, મોટા મોટા વાયદાઓ આપી દીધા જેમાંથી કશું જ મળ્યું નથી. પરંતુ અમારી કોંગ્રેસની સરકાર આવશે તો તમને કરેલા એક-એક વાયદાઓ પૂરા કરીશું અને પાળી બતાવીશું. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, દેશની જનતાના ખાતામાં છેલ્લા પાંચ વર્ષમાં એક રૂપિયો પણ આવ્યો નથી. અગાઉ ૧૫ લાખ રૂપિયા લોકોના ખાતામાં આપવાની વાતો કરી હતી. નોટબંધી કરીને બાદમાં ગબ્બરસિંહ ટેક્સ લગાવી દેનારા મોદીએ ગરીબો, નાના વેપારીઓ અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. અમારી સરકાર બનશે એટલે અમે આપેલા એક એક વાયદાઓ પુરા કરીશું. અને લોકોના ખાતામાં સીધા જ ૭૨ હજાર જમા કરાવીને ગરીબોને સાચા અર્થમાં મદદ કરીશું. ખેડૂતો માટે દેશના મુખ્ય બજેટની સાથે અલગથી વિશેષ બજેટ અને ન્યાય યોજના લાગુ કરવાની જાહેરાત કરવાની સાથે કોંગ્રેસની સરકાર આવે તો ખેડૂતોના દેવા માફ કરવાનો ફરી એકવાર પુનરોચ્ચાર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, છતીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ ગણતરીના સમયમાં ખેડૂતોના દેવા માફ કરી દીધાં હતાં. ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું અને તાત્કાલિક તે પુર્ણ કર્યું. પરંતુ ભાજપ સરકાર એક પણ વચન નિભાવતી નથી. ઉપરથી ગરીબોના રૂપિયા અમીરોની તિજોરીમાં કેમ જાય તે જુએ છે. રાફેલમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો.

ભ્રષ્ટાચારીઓ દેશ બહાર જતાં રહ્યાં પરંતુ મોદી સરકાર તો ગરીબ અને ઈમાનદારોને ડરાવી રહી છે. દરમ્યાન મોદી નામના લોકો ચોર છે તેવા વિવાદને લઇ રાહુલ સામે થયેલા આક્ષેપ અંગે અહેમદ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મોદી નામના લોકો ચોર છે રાહુલ આવું ક્યારેય કહ્યું નથી. પરંતુ આ શબ્દને ગોળ ગોળ ફેરવીને રજૂ કરવામાં આવ્યો છે. રાહુલે અને કોંગ્રેસે આવી વાત ક્યારેય પણ કરી નથી. વિદેશી ભાગી ગયેલા ને કોઈ બહાર ચાલ્યું ગયું હોય અને તેની સરનેમ મોદી છે તે વાત અલગ છે. એટલે કોઈ પણ વખતે કોઈ પણ કોમ્યુનિટી વિશે આલોચના ક્યારેયપણ કોંગ્રેસ કરતી નથી. રાહુલે એમ પણ કહ્યું હતું કે, સામાન્ય લોકોને ચોકીદારની જરૂર હોતી નથી. ચોકીદાર અનિલ અંબાણી અને ઉદ્યોગપતિઓ રાખે છે.

(8:25 pm IST)