Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સુરત ખાતે કિન્નરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

શહેર સહિત રાજયમાં કિન્નર વોરને લઇ પ્રત્યાઘાત : જુની અદાવતને લઇ હત્યા થઈ હોવાનો ખુલાસો : પોલીસે ૩ આરોપીની ધરપકડ : અજુ ટામેટા પણ શંકાના ઘેરામાં

અમદાવાદ,તા. ૧૯ : સુરતમાં નહેર રોડ પર સોસિયો સર્કલ નજીક જાહેરમાં એક કિન્નરની કરપીણ હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને કિન્નર સમુદાયમાં આ ઘટનાને લઇ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સોસિયો સર્કલ પાસે  ઝેનોન બિલ્ડીંગમાં ઘુસીને અન્ય વ્યંઢળોએ કિન્નર પીંકી કુવંરને છાતી અને ગળાના ભાગે ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાઇ હતી. જેમાં મૃતક પીંકી કુંવરની સાથે રહેલા આંચલકુંવરને પણ ઈજા પહોંચી હતી. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયાં હતાં. જો કે, પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ અસરકારક તપાસ ચલાવી ત્રણ આરોપીઓની ધરપકડ કરી આ કેસમાં આગળની તપાસ હાથ ધરી છે.

કિન્નરો વચ્ચેની જૂની અદાવતને લઇ આ હત્યા કરાઇ હોવાની વાત સામે આવી રહી છે. સુરત શહેરમાં નહેર રોડ પર સોસિયો સર્કલ નજીક આવેલી યુનિક હોસ્પિટલની સામે આવેલા ઝેનોન કોમ્પલેક્સમાં દાપુ માંગવા ગયેલી નાનપુરા નાણાવટ દિલશાદ એપાર્ટમેન્ટમાં રહેતી પીંકીકુંવર (ઉ.વ.આ.૨૫)નામના કિન્નરની ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. હત્યા કરનારા સતિષ ઉર્ફે સતીયા, પાયલ, મૈતિથી કુંવર પોલીસમાં હાજર થઈ ગયા હતાં. આ સહિતના શંકાસ્પદ અજુ ટામેટા સહિતના અન્યો પર શંકા સેવવામાં આવી રહી છે. કિન્નરને ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હતી. જેથી ઘટના સ્થળે અને પીએમ રૂમ બહાર કિન્નરોએ રોકકળ કરી મુકી હતી. હત્યાં બાદ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એક્ઠાં થઈ ગયાં હતાં. પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી હતી. કિન્નરની હત્યાને લઈને સવાલો ઉભા થયો હતા કે, ફરીથી દાપુને લઈને કિન્નરોના બે જૂથ વચ્ચે વોર શરૂ થઈ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઉપરોકત ત્રણ આરોપીઓને ઝડપી વધુ પુછપરછ શરૂ કરી છે. જો કે, કિન્નરની ફરી એકવાર જાહેરમાં હત્યાના બનાવને પગલે અમદાવાદ શહેર સહિત રાજભરમાં કિન્નર સમુદાયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

(8:14 pm IST)