Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ઉપવાસનો ત્રીજો દિવસ ડો. પ્રવિણ તોગડિયાની તબિયત લથડી રહી છે

અમદાવાદ તા. ૧૯ : વીએચપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ પૂર્વ આંતરરાષ્ટીય કાર્યકારી પ્રમુખ પ્રવીણ તોગડિયા છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ ખાતે વણીકર ભવન, વીએચપી કાર્યાલય સામેના રોડ ઉપર ઉપવાસ કરી રહ્યા છે. તોગડિયા ખેડૂતો અને રામ મંદિરના મુદ્દાને લઈને ઉપવાસ પર બેઠા છે. ત્રણ દિવસથી ઉપવાસ બાદ ડો. તોગડિયાની તબિયત બગડી હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ શિવસેનાએ ડો. તોગડિયાને ઉપવાસને સમર્થન જાહેર કર્યું છે. આ માટે મુંબઈનું શિવસેનાનું એક પ્રતિનિધિ મંડળ તોગડિયાની મુલાકાત લેશે. સતત ત્રણ દિવસથી ઉપવાસ કરી રહેલા પ્રવિણભાઇના  સ્વાસ્થ્યને લઈને સાધુ સંતો અને તેના સાથીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. તેઓ લાંબા સમયથી હાઇ ડાયાબીટીઝના દર્દી છે.

મંગળવારે ડો.પ્રવીણ તોગડીયા આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા હતા. જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસની મંજૂરી ન મળતા તેઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય સામેના ભાગે સમીયાણો બાંધી ઉપવાસ પર બેઠા છે. તેમની સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ જોડાયા છે.

(11:57 am IST)