Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કોંગ્રેસ પક્ષના સંગઠનમાં ધરમૂળથી કરાશે ફેરફાર :દોઢ મહિનામાં જિલ્લા-તાલુકા કક્ષાએ આમૂલ પરિવર્તન થશે

ગ્રામ્ય,તાલુકા,અને જિલ્લાકક્ષાએ બુથ મનેજમેન્ટ પર ધ્યાન અપાશે :બુથદીઠ બે જનમિત્ર બનાવી તાલીમ અપાશે

 

અમદાવાદ: કોંગ્રેસ પક્ષના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરાશે દોઢ મહિનામાં જિલ્લા-તાલુકા કક્ષાએ આમૂલ પરિવર્તન થશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે,"કોંગ્રેસ પક્ષમાં કામ કરનાર કાર્યકરોને મહત્વ મળશે અને કામ કરનારને હોદ્દા પરથી દુર કરાશે પક્ષમાં શિસ્ત અને સંયમ સાથે કોંગ્રેસ પક્ષની વિચારધારા માટે કામ કરનારને પક્ષમાં અગત્યની જવાબદારી સોંપાશે

 

 અમિતભાઇ ચાવડાએ વધુમાં કહ્યું કે લોકસભા૨૦૧૯ માં કામગીરી કરવાની છે અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વિચારોને લોકો સુધી પહોંચાડવાના છે. ભાજપની નકારાત્મક સામે કોંગ્રેસ પક્ષ હકારાત્મક કામગીરી કરશે.ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ બૂથ મેનેજમેન્ટ પર સંપૂર્ણ ધ્યાન આપવાનું છે. બૂથદીઠ બે જનમિત્રને પંસદ કરીને આગામી દિવસોમાં તેઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાશે. આગામી ૪૫ દિવસમાં તાલુકા અને જિલ્લાના કોંગ્રેસ પક્ષના સંગઠનમાં આમૂલ પરિવર્તન કરાશે."

 

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાપરેશ ધાનાણીની વિશેષ ઉપસ્થિતિમાં સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીના માધ્યમથી જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષની કાર્યકરો-આગેવાનો સાથેની સંવાદનું આયોજન થયું હતું.

    અમિત ચાવડાએ વધુમાં ઉમેર્યુ કે, "પ્રદેશ કક્ષાએથી તાલુકા કક્ષાએ સંગઠનની રચના થતી હતી આપણે તાલુકા એટલે કે, બૂથ મેનેજમેન્ટથી તાલુકા અને તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષા અને ત્યારપછી પ્રદેશ કક્ષાના સંગઠનની રચના કરીશું. વડીલોનું માન સન્માન જાળવીશું. આપણે જૂથવાદ નહીં પણ બૂથવાદની લડાઈ લડીશું. મતદારને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવાની ટીમ બનાવીશું. ચૂંટાયેલી પાંખ અને સંગઠનની વચ્ચે સંકલન કરીશું અને કોંગ્રેસમાં સંગઠનનું મહત્વ રહેશે. એવી પધ્ધતિનું અમલી કરવા જઈ રહ્યાં છીએ. બૂથના જનમિત્રનો ટીકીટ માટે ભલામણ ધ્યાનમાં લઈશું. શિસ્તનું પાલન કરવામાં આવશે. પક્ષ વિરોધીઓને ઘરનો રસ્તો બતાવી દઈશું."

    પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, "હું અખાત્રીજના દિવસે રાહુલ ગાંધીનો સંદેશો લઈ આવ્યો છું. દૂધમાં લીંબુ નાંખનારા સમજી લેજો. અમને વલોવી છાશ બનાવતા અને છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવતા આવડે છે. કાર્ડ છપાવીને ફરતા નેતાઓને હાંકી કાઢવા છે. કામ કરતા કાર્યકરોને આગળ લાવવા છે. ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે સંકલન નથી માટેચૂંટાયેલી પાંખે સંગઠનમાં સંકલન કરવું પડશે. સંગઠનનું સશક્તિકરણ કરવું પડશે. નવા યુવાનો જોડવા પડશે હોશ અને જોશથી સંગઠનનું સમન્વય કરીશું. આંદોલનમાંથી કોંગ્રેસનો જન્મ થયો છે માટે આંદોલનો કરવા તૈયાર રહેવું પડશે"

(10:08 pm IST)