Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કંડલા સ્થિત પંડિત દીનદયાળ બંદર પર માલસામાનનું સંચાલન 100 MMT વધુ

અર્થતંત્ર ફરી કોવિડ પહેલાંની સ્થિતિમાં પાછું આવતું હોવાના સંકેતો: મનસુખ માંડવિયા

ગાંધીનગર: ભારતના 12 મુખ્ય બંદરો પૈકીના કચ્છ ખાતે આવેલું પંડિત દીનદયાળ બંદર કે જે અગાઉ કંડલા બંદર તરીકે પ્રચલિત હતું, ત્યાં માલસામાનના સંચાલનના કુલ જથ્થાનો આંકડો 100 MMTથી વધુ નોંધાયો છે. કોવિડ પહેલાંની સ્થિતિ પરત ફરી રહી હોવાનું બંદરો, જહાજ અને જળમાર્ગ રાજયમંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ જણાવ્યું છે. આ સંચાલનમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ પેદાશો, કોલસો, મીઠું, ખાદ્યતેલ, ખાતર, ખાંડ, લાકડું, સોયાબીન તથા ઘઉં સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

પંડિત દીનદયાળ બંદર, કડંલા ખાતે માલસામાનના સંચાલનના કુલ જથ્થો 100 MMT થયો છે. તેમાંથી 3.25 MMT પ્રવાહી માલસામાન અને 43.76 MMT સુકા માલસામાન તેમજ કન્ટેઇનરનું સંચાલન કરવામાં આવ્યું છે. આ બંદર દ્વારા વાડીનાર ખાતે 43.30 MMT માલસામાનનું (જેમાં ટ્રાન્સશિપમેન્ટ પણ સામેલ છે) પણ સંચાલન કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન કન્ટેનરાઇઝ્ડ માલસામાનનો જથ્થો 4.50 લાખ TEU ઓળંગી ગયો હોવાથી એકંદરે કુલ 100 MMTથી વધારે માલસામાનનું સંચાલન થયું છે. દીનદયાળ બંદર દ્વારા સંચાલન કરવામાં આવતી મુખ્ય ચીજોમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ ઉત્પાદનો, કોલસો, મીઠું, ખાદ્ય તેલ, ખાતર, ખાંડ, લાકડું, સોયાબીન, ઘઉં છે.

જહાજ પરિવહન સમુદાય/હિતધારકો સાથે બંદર દ્વારા અપનાવવામાં આવતા વપરાશકર્તાને અનુકૂળ અભિગમ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો લાવવા માટે તેમની સાથે સતત કરવામાં આવતા પરામર્શના કારણે સિદ્ધિ પ્રાપ્ત થઇ શકી હોવાનું કહી શકાય

બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ દીનદયાળ બંદર દ્વારા હાથ ધરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, કોવિડના પડકારજનક સમયમાં આ ખરેખર એક મોટી સિદ્ધિ છે અને અર્થતંત્ર ફરી પાછું કોવિડ પહેલાંની સ્થિતિમાં પરત ફરી રહ્યું હોવાના નોંધનીય સંકેતો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં ધંધા રોજગારને સૈથી વધુ અસર થવા પામી હતી. કેટલાંય વ્યવસાયોને હજુ પણ કળ વળી નથી. એટલું જ નહીં પરંતુ આ કોરોનાના કારણે અસંખ્ય ધંધા રોજગાર ઠપ્પ થઇ જવા પામ્યા હતા. તેવા સમયે કંડલા બંદરે થયેલ 100 MMT સંચાલને ધંધા રોજગાર પુન જીવીત થઇ રહ્યાં હોવાનો એહસાસ કરાવ્યો છે.

(10:13 pm IST)