Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શહાદત સામે પાક જવાનોના ૪૪૦ માથા લાવવા માંગણી

મહારાષ્ટ્રના ધારાસભ્ય દ્વારા આક્રમક નિવેદન : મુસ્લિમોના સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ રાજકીય ઉત્કર્ષના હેતુસર મુસ્લિમ મહામંથન કાર્યક્રમનું આયોજન

અમદાવાદ,તા.૧૯ : મુસ્લિમોના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય ઉત્કર્ષના હેતુસર અમદાવાદ શહેરના મીરઝાપુર વિસ્તારમાં મુસ્લિમ મહામંથન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષપદે મહારાષ્ટ્ર રાજયના ભાયખલ્લાના એઆઇએમઆઇએમ(ઓલ ઇન્ડિયા મજીસ એ ઇત્તેહદુલ મુસ્લીમીન)ના ધારાસભ્ય વારીસખાન પઠાણ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પુલવામામાં સીઆરપીએફના શહીદ થયેલા ૪૪ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય વારીસખાન પઠાણે કેન્દ્ર સરકારને ઉદ્દેશીને સ્પષ્ટ માંગ કરી હતી કે, મોદી સરકારે એકના બદલે પાકિસ્તાન જવાનોના દસ માથા લાવવાની વાત કરી હતી ત્યારે હવે શહીદ થયેલા આપણા ૪૪ જવાનોના બદલામાં ૪૪૦ માથા લાવી બતાવો અને દેશની જનતાની લાગણી અને આક્રોશ  પરિપૂર્ણ કરો. મુસ્લિમ સમાજ શહીદ જવાનોના પરિવારજનોની પડખે ઉભો છે. શહેરના મીરઝાપુર વિસ્તારમાં મુસ્લિમ સમાજના યોજાયેલા મહામંથન કાર્યક્રમના આયોજક અબ્દુલ અહદખાન પઠાણે એઆઇએમઆઇએમના ધારાસભ્ય વારીસખાન પઠાણનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. એડવોકેટ શમશાદખાન પઠાણ, મુફતી અબ્દુલકૈય્યુમ, પ્રો.નીસાર અન્સારી, મૌલવી મહેબૂબ, હુસૈન મલેક સહિતના અનેક આગેવાનો ખાસ હાજર રહ્યા હતા, તો સ્થાનિક મુસ્લિમો ખાસ કરીને મહિલા, બાળકો અને યુવાઓએ પણ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષપદે હાજર રહેલા એઆઇએમઆઇએમ (ઓલ ઇન્ડિયા મજીસ એ ઇત્તેહદુલ મુસ્લીમીન)ના ધારાસભ્ય વારીસખાન પઠાણે જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજે હવે તેમના હક્ક અને અધિકારો માટે જાગૃત થવું પડશે પરંતુ આ માટે શિક્ષણ પ્રાથમિક જરૂરિયાત છે. મોદી સરકારના સબ કા સાથ, સબ કા વિકાસની વાતો જુમલા સમાન સાબિત થઇ છે. ખાસ કરીને તેમના ગુજરાત રાજયમાં જ મુસ્લિમ માઇનોરીટી મીનીસ્ટ્રી નથી. મુસ્લિમ સમાજે હવે સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રમાં તેમની ભાગીદારી પુરવાર કરવી પડશે અને આ માટે બધાએ સાથે મળી સહિયારા પ્રયાસોથી આગળ વધવુ પડશે. ભાજપના શાસનમાં આજે પણ અશાંત ધારાનો પ્રશ્ન વિવાદો જન્માવી રહ્યો છે. ગુજરાત અને દેશના વિકાસમાં મુસ્લિમ સમાજની બહુ મહ્ત્વની ભૂમિકા અને ફાળો રહ્યો છે. મુસ્લિમ મહામંથનના ઉપરોકત કાર્યક્રમ બાદ આવનારા ભવિષ્યમાં એઆઇએમઆઇએમ ગુજરાતના રાજકારણમાં દસ્તક દે તો નવાઇ નહી.

 

 

(9:35 pm IST)