Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કેમીકલ ઉદ્યોગના પાણીથી જમીન બચાવવા જેતપુર, અમદાવાદ, વડોદરામાં ૨૨૭૫ કરોડના ખર્ચે CEPT

વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત ૩૭ હજારથી વધુ લાભાર્થીઓને ૩૦૪ કરોડ સહાય

ગાંધીનગર તા.૧૯: નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ૨૦૧૯નું આયોજન સફળતાપૂર્વક થયેલ છે. રાજ્ય સરકારની આકર્ષક ઔદ્યોગિક પ્રોત્સાહન નીતિઓ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનસને કારણે મોટા પાયે મૂડીરોકાણ આકર્ષવામાં રાજ્યને ખૂબજ સારી સફળતા મળી છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક અને સેવાકીય ક્ષેત્રે પણ મોટા પાયે રોકાણ આકર્ષવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકો તેમજ યુવા સંશોધનકારોને તેમના ઇનોવેટીવ આઇડિયાની વાણિજય સફળતા માટે સહાય આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજયની સિદ્ધિઓને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને બેસ્ટ પરફોર્મર સ્ટેટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. તેમ શ્રી નીતિન પટેલ ગૃહમાં જણાવી નીચે મુજબ જાહેરાત કરી હતી.

ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિ છે કે પર્યાવરણ અને લોકોના આરોગ્યને નુકસાન ન થાય તે રીતે વિકાસના કાર્યો હાથ ધરવા. સાથેસાથે ગુજરાતના યુવાનોને રોજગારીની વ્યાપક તકો પ્રાપ્ત થાય તેટલા માટે ઉદ્યોગો મોટા પ્રમાણમાં સ્થપાય તેવા અમારા સતત પ્રયત્નો છે. ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રના ઇન્ફાસ્ટ્રકચરમાં આધુનિકતા લાવવાના નક્કર આયોજનો કરી રહ્યું છે, ત્યારે હું આ સભાગૃહમાં જાહેરાત કરૃં છું કે કેમિકલ અને ટેકસટાઇલ ઉદ્યોગોના કારણે પ્રદૂષિત થતા પાણીને વૈજ્ઞાનિક રીતે શુદ્ધ કરીને ગુજરાતની જમીન અને પાણી પ્રદુષિત ન થાય તે માટે, ટ્રીટ કરેલ પાણી ઊડા દરિયામાં છોડવા માટે અમદાવાદ, વડોદરા અને જેતપુર વિસ્તારમાં PPPના ધોરણે CETP, ડીપસી પાઇપલાઇન અને આનુષંગિક ઇન્ફાસ્ટ્રકચર ઊભં કરવાનો કુલ ખર્ચ રૂ.૨૨૭૫ કરોડ થવાનો અંદાજ છે, તે કામગીરી કરવામાં સરકાર ઉદ્યોગોને મદદરૂપ થશે.

માનવ કલ્યાણ યોજના અન્વયે નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા તેમના ધંધાને અનુરૂપ આધુનિક સાધન-ઓજારની કીટ આપવામાં આવશે. જેમાં ૨૮ ટ્રેડ માટે કુલ ૫૧,૯૦૦ લાભાર્થીઓને લાભ થશે.

વાજપાઇ બેન્કેબલ યોજના અન્વયે સેવા, વેપાર અને ઉદ્યોગ એમ ત્રણે ક્ષેત્રમાં રૂ.૮ લાખ સુધી ધિરાણ અને સહાય આપવામાં આવે છે. જેમાં, આવતા વર્ષે ૩૭,૦૦૦ કરતાં વધુ લાભાર્થીઓને રૂ.૩૦૪ કરોડની સહાય આપવામાં આવનાર છે.

૧૦ એકરથી ઓછી જમીન ધરાવતા નાના અગરિયાને પાણી ખેંચવા માટેના સોલાર પંપ વસાવવા મટે સહાય આપવામાં આવે છે. ખાણ-ખનીજના બ્લોકસની ફાળવણીમાં ઇ-ઓકશન પદ્ધતિ દાખલ કરતાં સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને સ્પર્ધાત્મક બની છે. આ વર્ષે કુલ પાંચ તબક્કામાં ગૌણ ખનીજના ૪૭૦ બ્લોકસ હરાજીમાં મુકવામાં આવેલ છે અને વધુ ૨૧૬ બ્લોકસ ઇ-હરાજીમાં મૂકવામાં આવશે.

પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્રે કલ્યાણ યોજના અન્વયે રૂ.૩૬૮ કરોડના ૯૨૦૨ કામો મંજૂર કરવામાં આવેલ છે.(૭.૫૯)

 

(3:33 pm IST)