Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શહીદોને અંજલી વેળા ભાજપ કોંગ્રેસની આક્ષેપબાજીથી ટીકા

બજેટ સત્રના પ્રથમ દિવસે જ ગરમા ગરમી થઈ : નીતિન પટેલે કાશ્મીર મુદ્દે કોંગ્રેસને સલાહ આપતાં મામલો બિચકયો : ભાષણ વગર પાક.ને સબક શીખવો : કોંગ્રેસ

અમદાવાદ,તા. ૧૮ : ગુજરાત વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના ૪૪ જવાનોને ભારે ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જો કે, શ્રધ્ધાંજલિના પ્રસ્તાવ દરમ્યાન પણ એક તબક્કે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ એકબીજા પર રાજકીય આક્ષેબાજી શરૂ કરતાં ગૃહમાં ભારે ગરમાગરમી સર્જાઇ હતી. જો કે, પ્રજાના પ્રતિનિધિઓની વિધાનસભા ગૃહમાં શહીદોની શ્રધ્ધાંજલિ ટાણે જ આ પ્રકારની હરકત અને વર્તણૂંક નિંદા અને ટીકાને પાત્ર બની હતી. એક તબક્કે ખુદ વિધાનસભા ગૃહ રાજેન્દ્ર ત્રિવેદીને ટકોર કરવી પડી હતી કે, આ શહીદોની શ્રધ્ધાંજલિ પ્રસ્તાવ છે તેની તો ગરિમા જાળવો. ગુજરાત વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસ માટે ગૃહની બેઠક આજે મળી હતી. જેમાં તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના ૪૪ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટેની કાર્યવાહી ચાલી રહી હતી. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહીદોનો શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ રજૂ કર્યો તે દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ શહીદોને શ્રધ્ધાંજલિ આપતી વખતે જ અચાકન વાત રાજકીય આક્ષેપબાજી તરફ ફંટાઇ હતી અને તે એટલી હદે આગળ વધી કે, એક તબક્કે ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ટકોર કરવી પડી હતી. શ્રધ્ધાંજલિ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાના અંગત મંતવ્યના નામે કોંગ્રેસ સામે રાજકીય આક્ષેપબાજી કરતા જણાવ્યું હતું કે. કાશ્મીરનો પ્રશ્ન જો તે સમયે સરદાર પટેલ પર છોડી દીધો હોત તો આજની ઘટનાઓ ન બની હોત. કમનસીબે જુદી રીતે કાશ્મીરને એક કર્યું,પરંતુ સમય પ્રમાણે એક ન કરી શક્યા જે કાંટો ભારત દેશના નાગરિકને આજે પણ ખુંચી રહ્યો છે. તે સમયના કોંગ્રેસના શાસકોએ સરદાર પટેલને કાશ્મીરનો મુદ્દો સોંપવાની જરૂર હતી. નીતિન પટેલના આ રાજકીય આક્ષેપનો જવાબ આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની સરકાર સામે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલાને રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. સરદારના નેતૃત્વમાં દેશને એક અને અખંડ રાખવાના પ્રયત્નો કોંગ્રેસની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. દેશની એકતા અને અખંડિતતા માટે કોંગ્રેસે બલિદાનો આપ્યા છે અને આતંકવાદનો ભોગ બન્યા છે.  દેશની જનતા સરકાર પાસે અપેક્ષા રાખે છે કે, માત્ર ભાષણ કર્યા વગર પાકિસ્તાનને સબક શીખવાડવા માટે જવાબ આપવાની જરૂર છે. આતંકી અઝર મસૂદને વિમાનમાં બેસાડીને આવ્યા ન હોત તો આજે આ થયું ન હોત. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના સભ્યો પર એક પછી એક વળતા બાણ શરૂ કર્યા હતા. તો ભાજપે પણ તેનો સણસણતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને ગૃહનું વાતાવરણ ગરમાયું હતું. એક તબક્કે રાજકીય આક્ષેપબાજી વધી જતાં ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ દરમ્યાનગીરી કરતાં શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોને માર્મિક ટકોર કરી હતી કે, થોડો તો મલાજો જાળવો કે, આ શહીદોનો શ્રધ્ધાંજલિ પ્રસ્તાવ છે.

(8:52 pm IST)