Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ભાજપ પ્રદેશના ઉપપ્રમુખ ડો. ભરત કે. બોઘરાએ રાજીનામુ આપ્યું : એક વ્યક્તિ, એક પદના સિધ્ધાંતને પગલે નિર્ણંય

બોઘરાએ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું

અમદાવાદ : : ભાજપ પ્રદેશના ઉપપ્રમુખ ડો. ભરત કે. બોઘરાએ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને રાજીનામું સ્વીકારવા વિનંતી કરી છે. એક વ્યક્તિ, એક પદના સિધ્ધાંતને અનુલક્ષીને ડો. બોઘરાએ રાજીનામું આપ્યું છે

જરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તાજેતરમાં ભાજપ પ્રદેશ માળખાની બે તબક્કામાં જાહેરાત કરી હતી. જેમાં ઉપપ્રમુખ પદે ડો. ભરત બોઘરાની નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંકને લઇને પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાએ સરદાર પટેલ સહભાગી યોજનાના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે મુખ્યમંત્રીને ગઇકાલ તા. 18મીના રોજ આપેલા રાજીનામાં પત્રમાં જણાવ્યું છે કે, તમે મને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન તરીકે કામગીરી સોંપી હતી. ખેડૂતો તેમ જ લોકોની સેવા કરવાની તક આપી તે બદલ હું ધન્યતા અનુભવું છું. આપના નેતુત્વમાં ગુજરાતના દરેક ક્ષેત્રનો સર્વાગી વિકાસ થઇ રહ્યો છે. સતત વિકાસના ભાગરૂપે સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવી સમગ્ર રાજયમાં સિંચાઇ ક્ષેત્રે જળસંચય રૂપી જળક્રાંતિ સમાન કામગીરી કરાવી છે. આપના માર્ગદર્શન તથા નેતુત્વમાં સિંચાઇ ક્ષેત્રે સૈની યોજના, ચેકડેમ તથા ચેકડેમ રિપેરીંગ જેવા વિવિધ કામો કરી ખેડૂતોને મદદરૂપ થવાની ખેડૂતહિતલક્ષી કામગીરી કરવાની મનને તક મળી તે બદલ હું આપનો કાયમી આભારી રહીશ.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, ગત સપ્તાહે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે. પ્રમુખના સિધ્ધાંત એક વ્યક્તિ, એક પદને હું સમજું છું તથા પક્ષના શિસ્તબધ્ધ કાર્યકર્તા તરીકે સ્વેચ્છાએ સ્વિકારવા માંગું છું. આ સિધ્ધાંતને અનુસરવા ગુજરાત સરકારના ચેરમેન પદેથી સહર્ષ રાજીનામું આપું છુ. પક્ષ દ્વારા સંગઠનમાં સોંપાયેલી જવાબદારી નિભાવી શકું તે માટે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન તરીકેનું મારું રાજીનામું સ્વીકારવા મારી વિનંતી છે. આ રાજીનામાની નકલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ મોકલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ તરફથી એક વ્યક્તિ એક જ પદ પર રહી શકે તેવો નિયમ બનાવ્યો છે. આ નિયમને આધીન ડો. બોઘરાએ પણ રાજીનામું આપી દીધું છે

(8:41 pm IST)