Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

સિવિલ જજ પરીક્ષામાં સાચા જવાબો છતાંય ભારે અન્યાય

નારાજ ઉમેદવાર તરફથી રિટ કરી મુદ્દા ઉઠાવાયા : હાઇકોર્ટના રજિ.જનરલ અને રજિ.(રિક્રુટમેન્ટ)ને નોટિસ અરજદારને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા હાઇકોર્ટનો હુકમ

અમદાવાદ,તા. ૧૯ : ગુજરાત રાજયમાં સિવિલ જજની લેવાયેલી પ્રિલીમનરી પરીક્ષામાં ચેક મુદ્દે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં પરીક્ષાર્થી ઉમેદવારોના જવાબ સાચા હોવા છતાં તેઓના માર્કસ આપી ઉલ્ટાના નેગેટીવ માર્કસ કાપવાના કારણે ઉમેદવારોને આ પરીક્ષાના પરિણામમાં તેમ જ સિવિલ જજની મુખ્ય લેખિત પરીક્ષામાં બેસવામાં ભારોભાર અન્યાય સંબંધિત સત્તાવાળાઓ દ્વારા કરાયો હોવાનો મહત્વનો મુદ્દો ઉપસ્થિત કરતી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણીમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવે ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને રજિસ્ટ્રાર(રિક્રુટમેન્ટ) વિરૂધ્ધ શો-કોઝ નોટિસ જારી કરી હતી. વધુમાં, હાઇકોર્ટે અરજદાર ઉમેદવારને સિવિલ જજની મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાની રાહત આપી કેસની વધુ સુનાવણી તા.૧૨મી ફેબ્રુઆરી પર મુકરર કરી હતી.

             અરજદાર હેમાંગ લક્ષ્મીકાંત વૈષ્ણવ તરફથી કરાયેલી રિટ અરજીમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ અમીરાજ બારોટે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયની લોઅર જયુડીશરી માટે સિવિલ જજની પ્રિલીમનરી પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પાસ થવા માટે ૫૦ માર્કસ રાખવામાં આવ્યા હતા અને ખોટા જવાબના -૦.૩૩ ટકા માર્કસ કાપવાનું જાહેર કરાયું હતું. અરજદાર પણ તા.૧૭-૧૧-૨૦૧૯ના રોજ લેવાયેલી આ પ્રિલીમ પરીક્ષામાં અપીઅર થયા હતા. બાદમાં અરજદારે જયારે વેબસાઇટ પર જોયુ તો, સીલેકટ લીસ્ટમાં ભારે આશ્ચર્ય વચ્ચે તેમનું નામ નહોતું. કારણ કે, ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્ન નં-૪૪માં ચેક ભરવા માટેની સમયમર્યાદા પૂછવામાં હતી. જેમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮મા નિર્દિષ્ટ જોગવાઇ મુજબ, આ સમયમર્યાદા છ મહિનાની છે પરંતુ   આરબીઆઇએ જારી કરેલા પરિપત્ર મુજબ, આ સમયમર્યાદા ત્રણ મહિનાની કરી દેવાઇ છે પરંતુ આરબીઆઇના આ જાહેરનામાથી ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના કાયદાની જોગવાઇ બદલાઇ જતી નથી કે તે નાબૂદ પણ થઇ નથી, તેથી અરજદારે છ મહિનાની સમયમર્યાદાનો જે જવાબ આપ્યો હતો

             તે સાચો હોવાછતાં સત્તાવાળાઓએ તેને ખોટો ગણી ઉલ્ટાના નેગેટીવ માર્કસ કાપીને તેમને અન્યાય કરતાં અરજદાર સિવિલ જજની મુખ્ય પરીક્ષામાં બેસવામાં અને સીલેકટ લીસ્ટમાંથી બાકાત થઇ ગયા છે, જે બિલકુલ ગેરવાજબી, ગેરબંધારણીય અને ગેરકાયદે વાત કહી શકાય. સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ અમીરાજ બારોટે હાઇકોર્ટનું એ મુદ્દે ખાસ ધ્યાન દોર્યું હતું કે, આરબીઆઇના જાહેરનામાથી કાયદાકીય જોગવાઇ રદબાતલ ઠરતી નથી, તેથી સત્તાવાળાઓએ બી અને ડી એ બંને જવાબોને સાચા જ ગણવા જોઇએ અને અરજદારને એક માર્કસના જે હકદાર છે, તે આપવા જોઇએ. વળી, પ્રશ્નપત્રમાં એનઆઇ એકટના પરિપ્રેક્ષ્યમાં ઉપરોકત પ્રશ્ન પૂછાયો હતો,

             આરબીઆઇના સંદર્ભમાં નહી, તેથી પણ અરજદારનો જવાબ સાચો ઠરે છે. આરબીઆઇએ બેંકીંગ ફેસીલીટી અને ચેકનો દૂરપયોગ ના થાય તે હેતુથી સમયમર્યાદા ઘટાડી છે. એનઆઇ એકટની જોગવાઇમાં સુધારો કરવાની સત્તા માત્ર સંસદને છે, જે સુધારો થયો નથી, તેથી પણ અરજદારે છ મહિનાની સમયમર્યાદાનો જે જવાબ આપ્યો છે તે તદ્દન સાચો અને ખરો છે. તેથી હાઇકોર્ટે અરજદારને સિવિલ જજની લેખિત મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા સંબંધિત સત્તાવાળાઓને આદેશ કરવો જોઇએ. હાઇકોર્ટે અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી અરજદારને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા હુકમ કરી કેસની વધુ સુનાવણી આવતા મહિને મુકરર કરી હતી.

(9:32 pm IST)