Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

અમદાવાદના BCCLના અેક્ઝીક્યુટીવ અચલ શાહ અને પત્નીનું ઘરમાં આગ લાગતા મોત નીપજ્યા બાદ તેમના માતા સ્‍નેહલતા શાહનું પણ મોત

ઘરમાં આગ લાગવાથી અમદાવાદના શાહ પરિવારમાં પતિ-પત્નીનું અવસાન થયાના દુઃખદ બનાવના એક મહિનામાં તેમની માતાનું પણ સોમવારે હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયુ હતુ. BCCLના એક્ઝિક્યુટિવ અચલ શાહ અને તેમના પત્ની પ્રહલાદનગર સ્થિત ઘરમાં આગ લાગતા 23 નવેમ્બરના રોજ મૃત્યુ પામ્યા હતા. સોમવારે તેમની માતા સ્નેહલતા શાહનું પણ અવસાન થયુ હતુ.

કાર્ડિયાક એરેસ્ટઃ

શેલ્બી હોસ્પિટલમાં તેમની ટ્રીટમેન્ટ કરનારા ડો. મનીષ મહેતાએ જણાવ્યું, “સોમવારે સાંજે વાગે હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું મૃત્યુ થયુ હતુ.” ડોક્ટરના જણાવ્યા મુજબ તે આગની ઘટનાના આઘાતમાંથી બહાર આવી ગયા હતા પરંતુ તેમનું મૃત્યુ હૃદય ખોટકાતા થયુ હતુ.

ગૂંગળામણને કારણે થયુ મોતઃ

52 વર્ષના અચલ શાહ અમદાવાદ મિરર, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અને બેનેટ કોલમેન એન્ડ કંપની લિ.ના બીજા પબ્લિકેશન્સના રિસ્પોન્સ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ વાઈસ-પ્રેસિડન્ટ હતા. આનંદનગરમાં ઈશાન 3ના છઠ્ઠા માળે આવેલા ઘરમાં આગ લાગતા તેમનું અને તેમના પત્ની પ્રેમિલાનું ગૂંગળામણને કારણે મોત થયુ હતુ.

દાદીને ડિસ્ચાર્જ કરાયા હતા પણ

મામલાની તપાસ કરનારા અધિકારીઓના જણાવ્યા મુજબ સ્ટોરરૂમમાં ફાટી નીકળેલી આગ રસોડા સુધી સીમિત રહી હતી. પરંતુ તેનો ધૂમાડો આખા ઘરમાં ભરાઈ ગયો હતો. તેમની મોટી દીકરી ઈશિતા અને માતા સ્નેહલતા તેમના રૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.13 વર્ષની નાની દીકરી આરોહીએ પોતાની જાતને બાથરૂમમાં પૂરી દીધી હતી અને તેના પર પાણી છાંટવાનું ચાલુ રાખ્યુ હતુ એટલે તે બચી ગઈ હતી. ત્રણેયને શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આરોહીને 25 નવેમ્બરે ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. થોડા દિવસ બાદ તેની દાદીને પણ ડિસ્ચાર્જ કરાયા હતા.

મોટી દીકરી હજુ પણ હોસ્પિટલમાંઃ

ઈશિતાને શેલ્બીમાંથી ઝાયડસ હોસ્પિટલના ન્યુરોલોજિકલ આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવી હતી. તેની નાજુક સ્થિતિને ધ્યાનમાં લેતા પોલીસે હોસ્પિટલની ઓથોરિટીને ગ્રીન કોરિડોર ઊભો કરવામાં મદદ કરી હતી જેને કારણે 15 વર્ષની ઈશિતાને 20 મિનિટના રૂટને બદલે 8 મિનિટમાં બ્રેક માર્યા વિના કે હોર્ન વગાડ્યા વિના એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. માતા-પિતાના અવસાન પછી બંને છોકરીઓની જવાબદારી દાદીના માથે હતી. હવે દાદી પણ ગુજરી જતા માતાના પરિવારજનો દીકરીઓની સારસંભાળ રાખશે.

(5:06 pm IST)