Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંદેશની સાથે યોજાયેલી ગાંધી સંકલ્પ યાત્રા

ભાજપાના પ્રદેશ જીતુ વાઘાણીની ઉપસ્થિતિ અને આગેવાનીમાં યાત્રા : મન મેં બાપૂ કાર્યક્રમ થકી સ્વચ્છતા અને પર્યાવરણ બચાવો જેવા જીવનના મુલ્યો સાચા અર્થમાં અમલમાં મુકાયા છે

અમદાવાદ,તા.૧૭ : પ્રદેશ ભાજપા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ''મન મે બાપુ'' ના ભાવ સાથે ગાંધીજીના વિચારો-આદર્શોનો સંદેશો લઈને ભાજપા દ્વારા સમગ્ર દેશના તમામ લોકસભા ક્ષેત્રોમાં ૧૫૦ કિલોમીટરની પદયાત્રાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શુભેચ્છા સંદેશ સાથે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાની હેઠળ અમદાવાદ ખાતે પદયાત્રા યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વરદ્હસ્તે લીલીઝંડી આપી અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમા થી પદયાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પદયાત્રાનું સમાપન માનસી સર્કલ થઇ કામેશ્વર વિદ્યાલય - ગોલ્ડ કોઇન ચાર રસ્તા - રાઠી હોસ્પિટલ - શ્રધ્ધા સ્કુલ - જોધપુર ગામ ખાતે થયુ હતુ. આશરે પાંચ કિલોમીટરની આ પદયાત્રામાં ગાંધીજીના વિચારો સાથેની થીમ, ટેબ્લો સાથે નરસિંહ મહેતા રચિત ગાંધીજીના પ્રિય ભજન ''વૈષ્ણવ જન તો તેને રે કહીએ'' સાથે જોધપુર ગામ સુધી લઈ જવામાં આવ્યા હતા.

                    આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે દેશના પ્રજાવત્સલ અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 'ગાંધી સંકલ્પ યાત્રા' થઇ રહી છે અને આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આ પદયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યો અને આદર્શોને આત્મસાત્ કરવાનો સંકલ્પ કરીએ. વાઘાણીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુનું જીવન ચરિત્ર અને વિચારો ફક્ત પુસ્તક પૂરતા જ સીમિત ન રહીને દેશના જન-જન સુધી પહોંચે તે માટેના અથાગ પ્રયત્નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. 'મન મે બાપુ' કાર્યક્રમ થકી સ્વચ્છતા, પર્યાવરણ બચાવો, અસ્પૃશ્યતા હટાવો, બેટી બચાવો બેટી પઢાવો જેવા મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યોને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાચા અર્થમાં અમલમાં મુકી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજી ઉપરાંત સરદાર વલ્લભ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, છત્રપતિ શિવાજી, બાબાસાહેબ આંબેડકર સહિતના મહાપુરુષોને સન્માન આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

                     વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપાના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાજીના નેતૃત્વમાં આજે આદર્શ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે, આગામી સમયમાં પૂજ્ય ગાંધીજીની પરિકલ્પનાનું ''રામરાજ્ય'' દેશમાં સ્થાપિત થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દેશની જનતા અને આવનારી પેઢીઓના જીવનમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારો, આઝાદીની લડતમાં તેમનો ફાળો, અહિંસા, સામાજિક સમરસતા અંગેના તેઓના ઉપદેશો જીવંત રહે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં 'ગાંધી સંકલ્પ યાત્રા' યોજાઈ રહી છે. મહાત્મા ગાંધીના જીવનચરિત્ર, મૂલ્યો અને આદર્શો અખંડ રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુબ જ સરાહનીય કાર્ય કરી રહ્યા છે.

(9:48 pm IST)