Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આણંદ-આંકલાવ રોડ પર બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બને ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

આણંદ:આણંદ-આંકલાવ રોડ ઉપર આવેલા હળદરી ગામ પાસે ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે બે બાઈકો સામસામે ભટકાતા બન્ને ચાલકોના મોત થયા હતા જ્યારે બેને ઈજાઓ થતાં તેમને તુરંત જ સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર અંબાવ ગામે રહેતા ફરિયાદી અજીતભાઈ કાભાઈભાઈ પઢિયાર ગામના જ સંજયભાઈ ગણપતભાઈ પઢિયાર તથા અનિલભાઈ વિનુભાઈ રોહિત સાથે બાઈક નંબર જીજે-૨૩, બીપી-૦૭૦૭ ઉપર સવાર થઈને આણંદ ગરબા જોવા જવા નીકળ્યા હતા.
સાડા આઠેક વાગ્યાના સુમારે હળદરી ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે બાઈક ચલાવતા સંજયભાઈ પઢિયારે એકદમ જ વિચાર બદલ્યો હતો અને કાલે આણંદ ગરબા જોવા જઈશુ તેમ જણાવીને બાઈક પરત લીઘું હતુ અને આસોદર તરફ જતા હતા. દરમ્યાન સાડા આઠેક વાગ્યાના સુમારે આસોદર તરફથી એક બાઈક નંબર જીજે-૨૩, બીજી-૬૯૦૫નું આવી ચઢ્યું હતુ અને બાઈક સાથે ભટકાતા ચારેય જણાં રોડ પર પટકાયા હતા. જેમાં સંજયભાઈ પઢિયાર તથા ટક્કર મારનાર બાઈકના ચાલક સુરજભાઈ જશવંતભાઈ નાયક (બોદાલ)ને માથામાં ગભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતને પગલે-પગલે આસપાસના રહીશો એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરતાં તેઓ પણ સ્થળ પર આવી ચઢ્યા હતા અને ઘવાયેલા અનિલભાઈ રોહિત તથા અજીતભાઈ પઢિયારને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(5:44 pm IST)