Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

અમદાવાદના કાલુપુર શાકમાર્કેટમાં લુખ્ખા તત્વોના ત્રાસથી વેપારીઓ ત્રાહિમામ: ફ્રૂટબજાર સજ્જડ બંધ

અસામાજિક તત્વોની હપ્તા વસૂલી અને ધમકી આપી લૂંટ કરતા વેપારીઓમાં રોષ

અમદાવાદમાં કાળુપુર શાકમાર્કેટમાં લુખ્ખા તત્વોના ત્રાસથી વેપારીઓ ત્રાહિમામ થયા છે.નજીકમાં પોલીસ ચોકી હોવા છતાં લુખ્ખાતત્વો બેરોકટોક આતંક મચાવીને વેપારીઓ પાસેથી રોકડ રકમ પડાવે છે. રોષે ભરાયેલા વેપારીઓએ ફ્રૂટ બજારમાં સજ્જડ બંધ પાળ્યો હતો અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા 

 અમદાવાદમાં કાલુપુર ફ્રૂટ માટેનું મોટુ બજાર છે પરંતુ અહીં છેલ્લા કેટલાક વખતથી અસામાજીક તત્વોએ બેફામ બન્યા છે કોઈ પણ સમયે અસામાજિક તત્વો આવીને વેપારીઓને હથિયારની અણી અને ધમકી આપીને લૂંટ ચલાવે છે.

 પોલીસ પણ આ લુખ્ખાતત્વોની ધરપકડ કરે છે. પરંતુ થોડા જ સમયમાં છૂટી જાય છે. અને પાછા ફ્રૂટ બજારમાં આવીને વેપારીઓ પાસે હપ્તા વસૂલી કરે છે. વેપારીઓને પોલીસ પ્રોટેક્શન કે સુરક્ષાની કોઈ બાહેંધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી ફ્રૂટ માર્કેટ બંધ પાળશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

(12:04 pm IST)