Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

૧૪૧૨.૧૩ ચોરસ કિ.મી.માં પથરાયેલ ગીર અભ્યારણ્યનો આજે ૫૫મો જન્મદિન

જંગલમાં ૩૮ જાતના સસ્તન વર્ગના પ્રાણીઓ જેવા કે સિંહ, દિપડા, ઝરખ, ટપકાવાળા હરણ, ચિંકારા, ચોશિંગા, સાબર, શેઢાળી, કીડીખાવ, ઘોરખોદિયું, તામ્રવર્ણ ટપકાવાળી બિલાડી વિગેરે વસે છે : કોવિડ-૧૯ તેમજ ચોમાસાને લઈને સાત મહિના પછી તા. ૧૬ : ઓકટોબરથી મુલાકાતીઓ માટે ગીરનું જંગલ તથા ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન દેવળિયા ૧લી ઓકટોબરથી શરૂ થઈ રહ્યું છે જેની પરમિટ માત્ર એડવાન્સમાં ઓનલાઇન જ બુકીંગ સાઇટ - લિંક : https:girlion.guarat.gov.in પરથી થઇ શકશે

લેખનું શીર્ષક વાંચીને આપને થશે કે જંગલનું સર્જન તો કુદરતે હજારો વર્ષો પહેલા કરેલ છે, તેનો જન્મદિવસ હોય શકે? જયારે એવું લાગે કે જંગલ અને વન્ય પ્રાણીઓના અસ્તિત્વ ઉપર જોખમ છે અને જો તેમને સંરક્ષણ નહીં આપવામાં આવે તો ભવિષ્યમાં તેમનો વિનાશ થઇ જશે, ત્યારે રાજય સરકાર દ્વારા તે જંગલ વિસ્તારને જો સમયસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન (૫૧૦૧ ૨૧૧૦, વિગેરે જેવો દરજ્જો આપી સંરક્ષણ આપવામાં આવે, તો જંગલની અને વન્ય જીવોની જાળવણી ઘણી સારી રીતે થઈ શકે.

૧૯મી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં ગીર તથા આજુબાજુના વિસ્તારના જંગલમાં સિંહની સંખ્યા રાજા-રજવાડાઓ દ્વારા તથા બ્રિટિશ અધીકારીઓ દ્વારા કરાતા શિકાર/ટ્રોફી હન્ટિંગને કારણે માત્ર ૬૦ થી ૧૦૦ સુધીની થઈ ગઈ હતી. સન ૧૯૦૦માં જૂનાગઢ રાજયના નવાબ સાહેબ રસુલખાનજી એ બ્રિટિશ વાઈસરોય લોર્ડ કર્ઝન ને સિંહના શિકાર માટે આમંત્રણ આપેલ. તે સમયે બોમ્બેના એક અંગ્રેજી સમાચારપત્રમાં કોઈ જાગૃત નાગરિકે લખેલ પત્ર પ્રસિદ્ઘ થયેલ. 'વાઇસરોય કે તોડફોડીયા?' શીર્ષક હેઠળ પ્રસિદ્ઘ થયેલ પત્રમાં, જો આ રીતે શિકાર થતા જ રહેશે તો નજીકના ભવિષ્યમાં ધરતી પર એશિયાઇ સિહોનું અસ્તિત્વ જ નહીં રહે, એવી ભીતિ પ્રદર્શિત કરવામાં આવેલ. લોર્ડ કર્ઝનની જાણમાં આ સમાચાર આવ્યા, તેથી તેઓ ગીરમાં શિકારે જવાને બદલે જુનાગઢથી જ પાછા ફરી ગયા હતા. પરત ફરતી વખતે તેઓશ્રી એ નવાબ સાહેબને અનુરોધ કરેલ કે હવેથી સિહોનાં શિકાર બંધ કરી, તેમનું સંરક્ષણ કરવાની જરૂર છે. માત્ર એક જાગૃત નાગરિક કે એક દૈનિક સિહના સંરક્ષણમાં કેટલું મહત્વનુ યોગદાન આપી શકે તેનું આ સચોટ ઉદાહરણ છે! આમ તો નવાબ રસુલખાનજી ના પૂર્વજ નવાબ મહબતખાનજી બીજા એ સન ૧૮૭૯ માં વન્ય પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મુકતા નિયમો બનાવેલ, પરંતુ જુદા જુદા કારણોસર તેનો કડકાઇથી અમલ થઈ શકયો નહોતો. ત્યાર પછી જૂનાગઢના છેલ્લા નવાબ મહબતખાનજી ત્રીજા એ સિંહ તથા બીજા વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે સઘન પગલાં લીધા. ભારતની આઝાદી પછી પણ રાજય તેમજ કેન્દ્ર ની ઉત્ત્।રોતર સરકારો, વૈજ્ઞાનિકો, બિન સરકારી સંસ્થાઓ, સમાચાર માધ્યમો અને સ્થાનિક લોકોના મૂલ્યવાન પ્રદાનથી ગીરના સિંહની વસ્તી અત્યારે ૭૦૦ આસપાસ પહોંચી છે અને દક્ષેણ સૌરાષ્ટ્રના ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટરમાં વસી રહ્યા છે.

છેલ્લા બાર દાયકામાં ગીર જંગલ અને સિંહોએ ચડાવ-ઉતાર જોયા છે. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬૫ના દિવસે ગીર જંગલના ૧૪૧૨.૧૩ ચોરસ કિલોમીટરને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ. તેથી ૧૮ સપ્ટેમ્બર એક મહત્વનો અને યાદગાર દિવસ છે. ગીર તથા સિંહ પ્રેમીઓ આનંદથી કહો શકે કે આજે શુક્રવાર, તારીખ ૧૮-૦૯-૨૦૨૦ નાં રોજ ગીર અભયારણ્યનો ૫૫ મો જન્મદિવસ છે!

તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા એક રસપ્રદ સંશોધન કરવામાં આવેલ છે. અત્યાર સુધી આફ્રિકન સિંહ અને એશિયાયી સિંહ, એમ બંનેને થોડી અલગ પ્રજાતિ માનવામાં આવતી હતી. નવા સંશોધન મુજબ જાણવા મળેલ છે કે મધ્ય અને પશ્ચિમ અફ્રિકાના સિંહો અને ભારતના સિંહોમાં ઘણું સામ્ય છે, તેથી હવે ગીરના સિંહ પણ વૈજ્ઞાનિકોની ભાષામાં પેન્થેરા લીઓ લીઓ કહેવાય છે!

ઘણા લોકોને ખ્યાલ નહિ હોય કે ગીરમાં જુદા જુદા ૧૩ જાતના નિવાસ્થાન - જંગલો છે. સાગ, ખાખરો, ટીમરૂ, સીસમ, ગોરડ, કરમદા, જેવા જુદા જુદા હેબિટેટસ સિંહ તથા અનેક પશુ-પક્ષીઓને સાનુકૂળ રહેઠાણ પૂરું પાડે છે.

કોવિડ-૧૯ તેમજ ચોમાસાને લઈને સાત મહિના પછી તારીખ ૧૬ ઓકટોબરથી મુલાકાતીઓ માટે ગીરનું જંગલ ખુલી રહ્યું છે. ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન, દેવળિયા ૧લી ઓકટોબરથી શરૂ થઈ રહ્યું છે. આ સમયે પ્રવાસીઓને જણાવતા આનંદ થાય છે કે જંગલમાં ૩૮ જાતના સસ્તન વર્ગના પ્રાણીઓ જેવા કે સિંહ, દિપડા, ઝરખ, ટપકાવાળા હરણ, ચિંકારા, ચોશિંગા, સાબર, શેઢાળી, કીડીખાવ, ઘોરખોદિયું, તામ્રવર્ણ ટપકાવાળી બિલાડી, વિગેરે વસે છે. આપણું રાષ્ટ્રીય પક્ષી મોર, ચોટલીયો સાપમાર ગરુડ, ચોટલીયો બાજ, નવરંગ, દૂધરાજ, પીળક, વૂડપેકર, રાજ ગીધ, કલકલિયો, શીંગડીયો ઘુવડ, વિગેરે જેવા ૩૦૦ જાતિના સુંદર પક્ષીઓ છે. એટલે જ તો જાણીતા પક્ષીવિદ ડોકટર સલીમ અલીએ એક વખત કહ્યું હતું કે ગીર જો સિંહનું અભયારણ્ય ન હોત તો જરૂર એક સુંદર પક્ષી અભયારણ્ય હોત! આ ઉપરાંત ગીરમાં અજગર, કોબ્રા, રૂપસુંદરી, મગર, કેમેલિયોન, વિગેરે જેવા ૩૭ જાતિના સરીસૃપ છે અને આશરે ૨૦૦૦ જાતના કીટકો પણ વસે છે. ત્યાં બારે માસ વહેતી સાત નદીઓ છે. જો આપને સિંહના નિવાસસ્થાનની સમૃદ્ઘિ જોવી હોય અને માણવી હોય તો આપની સાથે આવેલા ગાઈડને જરૂર જણાવશો કે આપને આ બધી જીવસૃષ્ટિ પણ જોવી છે. અત્યારે આપણે કોરોના મહામારી ના મુશ્કેલ સમયમાં પસાર થઈ રહ્યા છીએ, તેથી આપનું અને આપની આસપાસના દરેક લોકોનું ધ્યાન રાખશો અને તકેદારી રૂપે સુરક્ષાના બધા નિયમોનું ચુસ્ત રીતે પાલન કરશો.

અંતમાં આપને ખાસ જણાવવાનું કે જંગલમાં જવા માટેની પરમિટ માત્ર એડવાન્સમાં ઓનલાઇન જ બુક કરી શકાય છે. પરમિટ બુક કરવા માટેની એક માત્ર અધિકૃત સાઈટ/લિંક નીચે જણાવેલ છે.

https:girlion.guarat.gov.in

પરમિટ બુકિંગ ઉપરાંત ગીર વિશેની બીજી ઘણી રસપ્રદ માહિતી પણ આ લિંક ઉપર કિલક કરવાથી મળી શકશે.

: આલેખન :

ભૂષણ પંડ્યા

મેમ્બર, સ્ટેટ બોર્ડ

ફોર વાઈલ્ડ લાઈફ

મો. +૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭

(2:35 pm IST)