Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

નવસારીના પીએસઆઇ ફિણવિયા આત્મ હત્યા પ્રકરણમાં બંદુક આપનાર સાથી પીએસઆઇ બી. કોંકણી સસ્‍પેન્ડઃ નવસારી જિલ્લા પોલીસ વડાનો નિર્ણય

નવસારી :ગઈકાલે નવસારીના પીએસઆઈ ફિણવિયાએ કેવડીયામાં પીએમના બંદોબસ્ત સમયે આત્મહત્યા કરી હતી. કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સાથી પીએસઆઈની સર્વિસ રિવોલ્વર માંગીને આ રિવોલ્વર સાથે ફોટા પાડવા છે તેવું તેમણે કહ્યું હતું. તેના બાદ પોતાના લમણાં પર ગોળી મારી આત્મહત્યા કરી હતી. ત્યારે સાથી પીએસઆઈ બી.કોંકણીને નવસારી જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યાં છે. નર્મદા એસપીના પ્રાથમિક રિપોર્ટને ધ્યાને લઈ પીએસઆઈ કોંકણીને સસ્પેન્ડ કરાયા છે. આમ, મિત્રતાના નાતે પોતાની સર્વિસ રિવોલ્વર આપવી પીએસઆઈ કોંકણીને ભારે પડ્યું હતું.

પીએમના બંદોબસ્ત સમયે આત્મહત્યા કરી

નર્મદા ડેમ પાસે એક તરફ કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ પીએસઆઈ એનસી ફિનવીયાએ સર્કિટ હાઉસમાં આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. નર્મદા ડેમ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત હોઈ નવસારીના પીએસઆઈ એન.સી.ફિનવીયાને કેવડીયા ખાતે વીઆઈપી બંદોબસ્તમાં મોકલાયા હતા. પરંતુ બંદોબસ્ત દરમિયાન તેમણે બીજા પીએસઆઈની રિવોલ્વર લઈને લમણે ગોળી ધરબી હતી. પીએસઆઈ ફિણવિયાએ સર્કિટહાઉસના મુખ્ય ગેટ પર ફરજ બજાવતા પીએસઆઈ એમ બી કોંકણી પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ રિવોલ્વર માંગી હતી, જેથી તેઓએ સર્વિસ રિવોલ્વર આપી હતી. ત્યારબાદ ફિણવિયાએ સર્કિટ હાઉસના ગ્રાઉન્ટ ફ્લોરના પેસેજ પાસે કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. ફિણવિયા પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી હતી. જે પરથી પોલીસે તપાસ શરૂ કરી છે.

બંદોબસ્તમાં ફિણવીયાને હથિયાર નહોતુ અપાયું

પોલીસ નિયમ મુજબ, વીવીઆઈપી બંદોબસ્તમાં યુનિફોર્મમાં ફરજ બજાવતા અધિકારીઓ હથિયાર રાખી શક્તા નથી. જ્યારે કે, સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા અધિકારીઓને જાહેરમાં હથિયાર ન દેખાય તે રીતે હથિયાર રાખવાના હોય છે. ત્યારે નવસારીના પીએસઆઈ કોંકણી સિવિલ ડ્રેસમાં હોવાથી તેમની પાસે સરકારી હથિયાર હતું. ફિણવીયા સાથે સારો પરિચય હોવાથી તેણે ફોટો પાડવા બંદૂક માગતા મિત્રતાના નાતે આપી હતી. 

ફિણવીયાને બે વાર સસ્પેન્ડ કરાયા હતા

એન.સી.ફિણવીયા 2013ની બેચના પીએસઆઈ હતા. પોતાની ફરજમાં ફિણવીયાને બે વાર સસ્પેન્ડ કરાયા હતા. નવસારી ટાઉન પોલીસ મથકે ચેઇન સ્નેચિંગની ફરિયાદ ન નોંધતા સસ્પેન્ડ કરાયા હતા. તો નવસારી એલઆઇબીમા હાજર ન થતા ચૂંટણી દરમિયાન ફરજ પર હાજર થવા આદેશ થયો હતો. ચૂંટણી ફરજ પર પણ હાજર ન થતા ફરી પીએસઆઇ ફિણવિયાને સસ્પેન્ડ કરાયા હતા. 10 દિવસ અગાઉ જ પીએસઆઇ નિલેશ ફિણવિયા નવસારી એલઆઇબીમાં ફરજ પર હાજર થયા હતા. ત્યારે હાલ તેમની આત્મહત્યાથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ઉપરી અધિકારીના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ચર્ચા પણ નવસારી પોલીસ બેડામાં ચાલી છે. મૃતક પીએસઆઈ નવસારી LIBમાં પીએસઆઈની ફરજ બજાવતા હતા.

(4:54 pm IST)