Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પ્લાસ્ટિકમુક્ત ઝુંબેશ : સીએમ પત્નિએ પ્લાસ્ટિક એકત્રિત કર્યું

રાજકોટમાં આજીડેમમાં નર્મદા નીરના વધામણાં :કુંડારીયા સહિતના આગેવાનોએ મહાઆરતી-વૃક્ષારોપણ કર્યું : પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેનો સંદેશ અપાયો

અમદાવાદ, તા.૧૭ : આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોઇ અને નર્મદા ડેમ પણ ઓવરફલો થયો હોઇ રાજ્યભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાઇ હતી તે પ્રસંગના ઉપલક્ષ્યમાં રાજકોટમાં પણ આજીડેમ ખાતે રાજકોટના સાંસદ મોહન કુડારીયાની હાજરીમાં નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબહેન પણ હાજર રહ્યા હતા. પ્લાસ્ટિકમુક્ત અભિયાનને લઇ આજી ડેમના પટાંગણમાં સીએમના પત્ની અંજલિબહેને પ્લાસ્ટિક વીણ્યું હતું અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવાનો સંદેશો આપ્યો હતો. રાજકોટના આજી ડેમ ખાતે મહાનગરપાલિકા દ્વારા નર્મદા નીરના વધામણાં માટે કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

            જેમાં પ્લાસ્ટિક મુક્ત રાજકોટ, નર્મદા નીરના વધામણા તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના સાંસદ, ધારાસભ્યો, અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આજીડેમ ખાતે આરતી ઉતારવામાં આવી હતી. સાથે જ પુષ્પ વર્ષા કરી નર્મદા નીરના વધામણાં પણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌની યોજના મારફત રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમમાં પાંચ વખત જ્યારે ન્યારી ડેમમાં એક વખત નર્મદા નીર ઠાલવવામાં આવ્યું છે. જો કે, આજના કાર્યક્રમ દરમ્યાન રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પત્ની અંજલિબહેને સૌનું ધ્યાન ખેંચ્યુ હતું. અંજલિબહેને આજી ડેમના પટાંગણમાં પ્લાસ્ટિક વીણી પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવાનો એક સામાજિક સંદેશો પ્રસરાવ્યો હતો, જેની નોંધ લેવાઇ હતી.

(9:03 am IST)