Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વકીલોના રેલી તેમજ દેખાવો થયા : કોર્ટ કામગીરી ઠપ થઇ

ગુજરાતભરની કોર્ટોમાં કોર્ટ કામગીરી ખોરવાઇ : અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સીલના હોદ્દેદારો અને ૧૪ વકીલ મંડળોના આગેવાનો દ્વારા આવેદનપત્ર સુપ્રત

અમદાવાદ,તા.૧૭ : કોઇપણ પ્રસંગ કે ઘટના, મુદ્દાને લઇ કોર્ટમાં હડતાળ, બહિષ્કાર અને કોર્ટ કામગીરીથી અળગા રહેવા પર પ્રતિબંધ ફરમાવતાં સુપ્રીમકોર્ટના ચુકાદાને લઇ ગુજરાત સહિત દેશભરના વકીલઆલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સુપ્રીમકોર્ટના આ ચુકાદાના વિરોધમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિર્દેશાનુસાર આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વકીલોએ રેલી-દેખાવો અને સૂત્રોચ્ચારના વિરોધદર્શક કાર્યક્રમો યોજયા હતા. આજે અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો અને ૧૪ જેટલા વકીલમંડળોના આગેવાનો ગાંધીઆશ્રમ ખાતે બપોરે ૧૨-૩૦ વાગ્યે એકત્ર થયા હતા. જયાં વકીલોના આગેવાનોએ મહાત્મા ગાંધીને સૂતરની આંટી પહેરાવીને બાદમાં ૫૦૦થી વધુ વકીલો રેલી સ્વરૂપે સુભાષબ્રીજ ખાતે કલેકટર કચેરી પહોંચ્યા હતા અને અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. બીજીબાજુ, અમદાવાદની જેમ જ રાજયના વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ વકીલમંડળોના દેખાવો અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો અને તાલુકા કક્ષાએ મામલતદાર અને જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવાના કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વકીલોના દેખાવો અને વિરોધ કાર્યક્રમોને લઇ આજે રાજયની નીચલી કોર્ટોમાં કોર્ટ કામગીરી ખોરવાઇ ગઇ હતી. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ વાઘેલાએ વકીલોના આજના કાર્યક્રમને સફળ ગણાવતાં જણાવ્યું હતું કે, વકીલોને હડતાળ પર પાબંદી લગાવતો સુપ્રીમકોર્ટના ચુકાદો વકીલોના મૂળભૂત અધિકાર પર સીધા પ્રહાર અને કુઠારાઘાત સમાન હોઇ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ હવે આ મામલે દેશના તમામ રાજયોમાં આ ચુકાદાને લઇ વકીલોમાં જાણકારી અને જાગૃતિ આપવા તા.૧૭મી સપ્ટેમ્બરથી જાગૃતિ અભિયાન છેડવા ગુજરાત બાર કાઉન્સીલ સહિત  દેશના તમામ વકીલ મંડળોને હાકલ કરી છે. તેના અનુસંધાનમાં આજે ગુજરાત સહિત દેશભરમાં વકીલોના વિરોધ કાર્યક્રમો યોજાયા હતા. આજે સુપ્રીમકોર્ટના આ ચુકાદાની વકીલબંધુઓમાં સમજ અને જાગૃતિ આપવા ગુજરાતના તમામ જિલ્લા -તાલુકા કોર્ટોમાં ખાસ જાગૃતિ અભિયાન અને સૂત્રોચ્ચાર-દેખાવોના કાર્યક્રમ યોજાયા હતા. આગામી દિવસોમાં આ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરવા રાજયના મુખ્યમંત્રી, કાયદામંત્રી, ધારાસભ્યો અને સંસદસભ્યોને રજૂઆત કરી આવેદનપત્ર અપાશે. અમદાવાદમાં આજે ગુજરાત બાર કાઉન્સીલના હોદ્દેદારો અને ૧૪ જેટલા વિવિધ વકીલમંડળના આગેવાનો ગાંધીઆશ્રમ ખાતે બપોરે ૧૨-૩૦ વાગ્યે એકત્ર થયા હતા. જયાં વકીલોના આગેવાનોએ મહાત્મા ગાંધીને સૂતરની આંટી પહેરાવીને બાદમાં રેલી સ્વરૂપે સુભાષબ્રીજ ખાતે કલેકટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. અમદાવાદની જેમ જ રાજયના વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ વિવિધ વકીલમંડળોના દેખાવો અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો અને તાલુકા કક્ષાએ મામલતદાર અને જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવાના કાર્યક્રમો યોજાયા હતા. જેને લઇ શહેર સહિત રાજયભરની નીચલી કોર્ટોમાં આજે કોર્ટ કામગીરી ખોરવાયેલી રહી હતી.  ઉલ્લેખનીય છે કે, ઓકટોબર મહિનામાં દેશભરના વકીલો દિલ્હી ખાતે સુપ્રીમકોર્ટ અને સંસદ બહાર એકત્ર થઇ રાષ્ટ્રવ્યાપી આશ્ચર્યકારક કાર્યક્રમ આપશે. દિલ્હીના આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં દેશભરમાં આશરે બે લાખથી વકીલો ઉમટે તેવો અંદાજ છે.

(8:18 pm IST)