Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

અમદાવાદની સાબરમતીમાં ધરોઇ ડેમનું પાણી છોડતા કોર્પોરેશન દ્વારા સહેલાણીઓ માટેનો રિવરફ્રન્‍ટ નીચેનો વોક-વે બંધ કરાયો

સાબરમતી નદીનું જળસ્‍તર વધતા નીચાણવાળા વિસ્‍તારોને એલર્ટ કરી દેવાયા મુસીબતમાં....

અમદાવાદઃ અમદાવાદની સાબરમતી નદીમાં સતત પાણીનો તેજ પ્રવાહ થતા અને ધરોઇ ડેમનું પાણી છોડતા કોર્પોરેશન દ્વારા મુલાકાતીઓ માટે રિવરફ્રન્‍ટના નીચેનો વોક વે બંધ કરવાની ફરજ પડી છે. સાબરમતીમાં જળસ્‍તર સપાટી વધતા નીચાણવાળા વિસ્‍તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે.

ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં સારો એવો વધારો થયો છે. શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને  AMC એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાબરમતી નદીનું જળસ્તર વધતા આજે રાત્રે 9 વાગ્યાથી રિવરફ્રન્ટ વૉક વે બંધ કરાશે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. નદીનું જળસ્તર ઉતરે નહી ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે.

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા AMC દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ ચૂક્યો છે. હવે સાબરમતી રિવરફ્રન્ટનો નીચેનો વોક વે મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આજ રાતથી મુલાકાતીઓ માટે નીચેનો વોક વે બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી વરસાદ રહેશે ત્યાં સુધી વોક વે બંધ રાખવામાં આવશે. ઉપરના વોકવેની મુલાકાત લઇ શકાશે. જાણવા મળી રહ્યું છે કે ધરોઈ ડેમમાંથી અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેના કારણે સાબરમતી નદીમાં પાણી પહોંચશે. પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં મેઘરાજાએ મનમૂકીને વરસતા નદીઓ, ડેમ, જળાશયો ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. જેણા કારણે ડેમનું પાણી નદીઓમાં છોડાતા કેટલીક નદીઓ ઉફાન પર છે. તેવી જ રીતે અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે.

સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી પાણી છોડાયું છે. વાસણા બેરેજના 7 દરવાજાઓ 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે વાસણા બેરેજનું લેવલ 129 મીટર છે. વાસણા બેરેજ બાદ સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવશે. સંત સરોવર ડેમમાંથી 15000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. સાબરમતી નદીમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.

આવતીકાલે વહેલી સવારે સાબરમતી નદીમાં પાણીનો તેજ પ્રવાહ જોવા મળશે. જ્યાં સુધી પાણી નહીં વહી જાય ત્યાં સુધી સાબરમતી રિવરફ્રન્ટ વોકવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. વોક-વે પર સામાન્ય નાગરિક તેમજ કોઈપણ વ્યક્તિની અવરજવર બંધ કરી દેવામાં આવશે. સાબરમતી નદીમાં પાણી છોડાતાં નીચાણવાળા વિસ્તારો તેમજ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

સાવચેતીના ભાગરુપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ વોક વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(4:16 pm IST)