Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

અમદાવાદ મનપાએ રિવરફ્રન્ટ વોક વે બંધ કર્યો : ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 60 હજાર ક્યુસેક પાણી છોડાયું

જ્યાં સુધી વરસાદ રહેશે ત્યાં સુધી વોક વે બંધ રાખવામાં આવશે. ઉપરના વોકવેની મુલાકાત લઇ શકાશે

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં સારો એવો વધારો થયો છે. શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને AMC એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાબરમતી નદીનું જળસ્તર વધતા આજે રાત્રે 9 વાગ્યાથી રિવરફ્રન્ટ વૉક વે બંધ કરાશે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. નદીનું જળસ્તર ઉતરે નહી ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે.

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા AMC દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ ચૂક્યો છે. હવે સાબરમતી રિવરફ્રન્ટનો નીચેનો વોક વે મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આજ રાતથી મુલાકાતીઓ માટે નીચેનો વોક વે બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી વરસાદ રહેશે ત્યાં સુધી વોક વે બંધ રાખવામાં આવશે. ઉપરના વોકવેની મુલાકાત લઇ શકાશે. જાણવા મળી રહ્યું છે કે ધરોઈ ડેમમાંથી અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેના કારણે સાબરમતી નદીમાં પાણી પહોંચશે. પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં મેઘરાજાએ મનમૂકીને વરસતા નદીઓ, ડેમ, જળાશયો ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. જેણા કારણે ડેમનું પાણી નદીઓમાં છોડાતા કેટલીક નદીઓ ઉફાન પર છે. તેવી જ રીતે અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે.

(10:11 am IST)