Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

જૂહાપુરાની ફતેવાડી કેનાલમાં સગીરા પડતાં ભારે સનસનાટી

રમતાં રમતાં સગીરા કેનાલમાં પડતા દોડધામ : ઉપરવાસના વરસાદ તેમજ નવા નીરની આવકના કારણે ફતેવાડી કેનાલમાં પાણી આવ્યું હોવાના લીધે ભારે જહેમત

અમદાવાદ, તા.૧૮ : શહેરના જૂહાપુરા વિસ્તારમાંથી પસાર થતી ફતેવાડી કેનાલમાં પંદર વર્ષીય સગીર પડી જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉપરવાસના વરસાદ અને નવા નીરની આવકના કારણે ફતેવાડી કેનાલમાં પાણી આવ્યું હોવાથી ફાયરબ્રિગેડને સગીરને શોધવા ભારે જહેમત કરવી પડી હતી. સગીરને શોધવા માટે ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા.

બીજીબાજુ, પરિવારજનોમાં પણ ભારે દોડધામ મચી ગઇ હતી. મોડી સાંજ સુધી સગીરને શોધવાના પ્રયાસો ચાલ્યા હતા પરંતુ કોઇ સફળતા મળી ન હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના જૂહાપુરા વિસ્તારમાં ફતેવાડી કેનાલ પાસે રમતા રમતા આજે બપોરે સાહીલ શેખ નામનો એક પંદર વર્ષીય સગીર અચાનક પડી ગયો હતો.

    હાલ ઉપરવાસના વરસાદ અને નવા નીરની આવકના કારણે ફતેવાડી કેનાલમાં પાણી આવ્યું હોવાથી સગીર પાણીના પ્રવાહમાં તણાયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઇ હતી તો, તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયરબ્રિગેડના જવાનોની ટીમે પણ સગીરને શોધવાના ભારે પ્રયાસો આદર્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ અને જળસ્તર વધુ હોવાથી સગીરને શોધવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે મોડી સાંજ સુધી પ્રયાસો કરવા છતાં સગીરની કોઇ ભાળ મળી ન હતી, જેના કારણે પરિવારજનોમાં ભારે ચિંતા અનેઆઘાતની લાગણી ફરી વળી હતી.

 

(9:41 pm IST)