Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

તાપી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી કરૂણમોત

મૃતકો સહીત 11 યુવાનો ઈદની ઉજવણી બાદ વાઘેચા ફરવા ગયા હતા

સુરતની તાપી નદીમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. નદીમાંથી સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સુરતના યુવાનો બારડોલીના વાઘેચા ખાતે ફરવા આવ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.

  ઓમનગર અને મીઠી ખાડી વિસ્તારના રહેવાસી સોયેબ મુમતાઝ અંસારી, અબ્દુલા નાસીર અહમદ અંસારી સહિત ૧૧ યુવાનો શનિવારે ઈદની ઉજવણી બાદ રવિવારે વાઘેચા ખાતે ફરવા ગયા હતા અને વાઘેચામાં આવેલા વાઘેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલી તાપી નદી ખાતે ગયા હતા.

દરમિયાન સોયેબ અંસારી અને અબ્દુલા નાસીર અંસારી તાપી નદીમાં નાહવા પડ્યા હતા. કલાકો સુધી બહાર ન આવતા યુવાનોએ ફાયર વિભાગને જાણ કરી હતી. સાંજ પડી જવાના કારણે ફાયર વિભાગને યુવાનોની શોધખોળમાં મુશ્કેલી થઈ હતી. જેથી શોધખોળ અટકાવી દેવામાં આવી હતી. અને આજે વહેલી સવારે શોધખોળ હાથ ધરતા બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.

(12:41 pm IST)