Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વિનાશક વાવાઝોડાના કારણે સુરતમાં અનેક વૃક્ષો ધરાશાયીઃ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાઃ બિલ્ડીંગનો જર્જરીત ભાગ તૂટતા નાસભાગ

સુરતઃ ગુજરાતમાં આવેલાં વિનાશક તૌકતે વાવાઝોડાએ સુરત શહેરની સુરત પણ બગાડી દીધી છે. ભારે પવન સાથે વરસાદ ખાબકી જતા ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ધોધમાર વરસાદને કારણે સુરત શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. અત્યાર સુધીમાં વૃક્ષો ધરાશાયી થવાના 100થી વધારે કોલ ફાયર વિભાગને મળ્યા છે.

એટલું નહીં શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી એલઆઈજી બિલ્ડીંગનો જર્જરિત ભાગ તૂટી પડતા નાસભાગ મચી ગઈ. જોકે, ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને મોરચો સંભાળી લીધો છે. ઉલ્લેખનીય છેકે, ઉપરાંત પણ સુરતમાં એવી અસંખ્ય જર્જરિત ઈમારતો છે જે મોટું સંકટ બનીને હાલ ઉભી છે.

બીજી તરફ અમરોલી ખાતે આવેલા મનીષા ગરનાળામાં પાણી ભરાતા સિટી બસ બંધ પડી ગઈ હતી. અંડરપાસમાં વચ્ચોવચ બસ બગડતાં મનીષા ગરનાળુ બંધ થઈ ગયું છે. સતત વરસાદને લઈ ગરનાળામાં પાણી ભરાયું છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે.

વાવાઝોડાની આગાહીને પગલે સુરત એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. વાતાવરણ ખરાબ હોવાને લઇને સોમવારે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી. સવારે દિલ્લીથી ચેન્નાઇ જતી ફ્લાઈટ ડાઇવર્ટ કરી સુરત એરપોર્ટ લેન્ડ કરવામાં આવી હતી.

સુરતમાં વાવાઝોડાની અસરને પગલે પાલિકાએ તમામ ઝોનમાંથી 410 હોર્ડિંગ્સ અને 356 જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું છે. 24 કલાક માટે પાલિકાએ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. દરેક ઝોનમાં ઇમરજન્સી નંબરો જાહેર કરી દેવામાં આવ્યા છે.

(4:12 pm IST)