Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

જામનગર- ભાવનગર- સુરત- અમદાવાદ- વડોદરાની હોટલો અને રેસ્ટોરન્ટોમાં ફુડ અને ડ્રગ વિભાગની ટીમોના દરોડાઃ નમુના લેવાયા

અમદાવાદઃ આજે ફૂડ એન્‍ડ ડ્રગ્સ વિભાગની ટીમે રાજ્યવ્યાપી દરોડા હોટલ-રેસ્ટોરાંમાં અખાદ્ય ખોરાકને લઈ દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જામનગર, ભાવનગર, સુરત, અમદાવાદ, વડોદરામાં આવેલી હોટલો અને રેસ્ટોરાંમાં દરોડા પાડી ખાદ્ય ચીજોના નમૂના લીધા છે તેમ જ સ્વચ્છતાની પણ તપાસ કરવામાં આવી છે.

મળતી વધુ વિગત મુજબ, ઉનાળાની શરૂઆત થતાં જ આરોગ્ય વિભાગ પણ સક્રિય થઈ જાય છે. રાજ્યમાં ઉનાળામાં તાપમાન 43-44 ડિગ્રીએ પહોંચતાં રાંધેલો ખોરાક 7-8 કલાક પછી ખાવા યોગ્ય રહેતો નથી. વિજ્ઞાનનો નિયમ છે કે ખોરાક રાંધ્યા બાદ ચાર કલાક સુધી એમાં પૂરતો ઓક્સિજન હોય છે. 4 કલાક બાદ એમાં ઓક્સિજનનું પ્રમાણ 50 ટકાથી વધુ ઘટી જાય છે અને 8 કલાક બાદ એ ખાવા યોગ્ય રહેતો નથી. હોટલ અને રેસ્ટોરાંવાળા વધેલો ખોરાક ફ્રિજમાં ઘુસાડી દે છે અને બીજા દિવસે ગરમ કરી પિરસવામાં આવે છે, જે લોકાનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. હોટલવાળા તો વધેલો ખોરાક 12થી વધુ કલાક સુધી ફ્રિજમાં મૂકી રાખે છે, એટલે જ ઉનાળામાં આરોગ્ય વિભાગ વધુ સક્રિય થાય એ સ્વાભાવિક છે. આજે આરોગ્ય વિભાગે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ-રેસ્ટોરાંમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગે ક્રાઉન પ્લાઝા સહિતની હોટલમાંથી સેમ્પલ લીધા છે.

આરોગ્ય વિભાગની ટીમે જામનગરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલી હોટેલો પર દરોડા પાડ્યા છે. એમાંય શહેરની નામાંકિત હોટેલોમાં ચેકિંગ હાથ ધરાયું છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન વાસી અને અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી હોટેલોના માલિકોને સ્વચ્છતા અંગે આપી સૂચના છે.

આરોગ્ય વિભાગની ટીમે સુરતની મોટી હોટલોમાં તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને TGB હોટલમાંથી ખોરાકનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તેમને સ્વચ્છતા રાખવા અંગેની સૂચના આપવામાં આવી હતી.

ભાવનગરમાં પણ રેસ્ટોરાં પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે સન એન્ડ સાઈન રેસ્ટોરાંમાં તપાસ કરી ખાદ્ય ચીજોના નમૂના લેધા હતા. આ સિવાય ત્રણ અન્ય રેસ્ટોરાંમાંથી પણ આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા.

(6:29 pm IST)