Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

દહેગામ નરોડા હાઇવે પર બસ-કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેના મોત

દહેગામ:નરોડા હાઈવે ઉપર ગઈકાલે રાત્રે લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. જો કે લકઝરી બસમાંથી દારૃની બોટલ પણ મળી આવી હતી અને ચાલક દારૃ પીધેલો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ દહેગામ નરોડા હાઈવે પાસે આવેલા ગાંધીનગર જિલ્લાના ગલુદણના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મહાદેવપુરા ગામના રહેવાસી અજીતસિંહ રાઠોડ ગુજરાતી ગીતકાર છે અને ગુજરાતી ગીતોનું આલ્મબ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગુજરાતી ગીતના શુટીંગ અર્થે તેઓ અઢોણા ગામે શુટીંગ કરી પરત ફરી રહયા હતા ત્યારે દહેગામ નરોડા રોડ પર આવેલા ગલુદણ ગામના પાટીયા પાસે દહેગામ તરફથી પુરઝડપે આવતી લકઝરી બસની અડફેટે આવી ગયા હતા.

(5:44 pm IST)