Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

વડોદરામાં અગમ્ય કારણોસર બે સંતાનની માતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા:શહેરમાં ૨૪ કલાક દરમિયાન આપઘાતના બે બનાવ નોંધાયા છે. જેમાં નવાપુરાની યુવાન પરિણીતાએ કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો તો અટલાદરામાં એકલવાયા જીવનથી કંટાળીને વૃધ્ધે પણ ફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધું હતું. નવાપુરા વિસ્તારમાં ખારવાવાડમાં રહેતો રાજુ કહાર રિક્ષા ચાલક છે. આજે સવારે તે રિક્ષા લઇને ઘરેથી નિકળ્યો હતો અને બપોરે તેની પત્ની આરતી (ઉ.૩૩)નો ફોન આવ્યો હતો કે 'હું જવ છું'. રાજુએ પુછ્યુ હતું કે ક્યા જાય છે પરંતુ તે પહેલા ફોન કટ થઇ ગયો હતો. જો કે આ ફોનને રાજુએ ગંભીરતાથી લીધો ન હતો અને નિત્યક્રમ મુજબ બપોરે ૪ વાગ્યે ચા પીવા માટે ઘરે પહોંચ્યો હતો અને જોયુ તો ઘરમાં તેના બે સંતાનો સુતા હતા અને આરતીઓ ફાંસો ખાઇ લીધો હતો. બીજા બનાવમાં અટલાદરા વિસ્તારમાં આવેલ લાભ રેસિડન્સીમાં રહેતા ભીખાભાઇ કેદારભાઇ પટેલ (ઉ.૬૫)ના પત્નીનું છ મહિના પહેલા અવસાન થયુ હતું જે બાદ તેઓ એકલા જ રહેતા હતા. દરમિયાન ગત મોડી રાત્રે તેઓએ ઘરમાં સિલિંગ ફેન સાથે દોરડુ બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે એકલવાયા જીવનથી કંટાળીને કદાચ ભીખાભાઇએ આ પગલુ ભર્યુ હોય.

(5:44 pm IST)