Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે તળાવ ઊંડા કરવાના કામનો કરાવ્યો પ્રારંભ

સુજલામ સુફલામ જળસંચય અભિયાન ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન છેઃ જળસંચય અભિયાન ધરતીમાતાની તૃષા સંતોષશેઃ જળઅભિયાનને રાજયભરમાં વ્યાપક લોકસમર્થન મળી રહયું છેઃ ગુજરાતના વિકાસને જળક્રાંતિથી સોળે કળાએ ખિલવવો છેઃ આ ચૂંટણીલક્ષી અભિયાન નહિ-સમગ્ર ગુજરાતના કલ્યાણ માટેનું લોકઅભિયાન છેઃ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે પંચમહાલ જિલ્લામાં અંદાજે રૂ.પ૦ કરોડના વિવિધ ૧૨ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત: પંચામૃત ડેરી દ્વારા જળસંચયના કામો માટે રૂ.૨૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ

ગાંધીનનગરઃ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સુજલામ સુફલામ જળસંચય અભિયાન ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન છે. જળસંચય અભિયાનથી ધરતી માતાની તૃષા સંતોષાશે અને જળસ્તર ઊંચા આવશે તેના થકી ગુજરાત પાણીદાર બનવા સાથે હરિયાળું બનશે અને જળક્રાંતિથી સોળેકળાએ વિકાસ ખિલશે.

મુખ્યમંત્રીશ્રી આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે શ્રમદાતાઓ સાથે શ્રમદાન કરી તળાવ ઊંડુ કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતિકાત્મક સાડી તેમજ શ્રમદાતોઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પંચમહાલ જિલ્લામાં અંદાજે રૂ.૫૦ કરોડના વિવિધ ૧૨ વિકાસ પ્રકલ્પોનું -તકતી દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક લોક સમર્થન મળી રહયું છે તેમ જણાવતાં ઉમેર્યુ હતું કે મેન-મશીનરી અને મનીપાવરના ત્રિવેણી સંગમથી ગુજરાતે સમગ્ર દેશનું સૌથી મોટુ જળસંચયનું અભિયાન ઉપાડયું છે. જે રાષ્ટ્રને નવી દિશા ચીંધશે. કામગીરી માટે રાજયમાં ૪૦૦૦ જેસીબી સહિત ૧૨૦૦૦ ટ્રેકટર-ડમ્પર કામ કરી રહયા છે.

રાજયવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજયમાં ૧૩ હજાર તળાવો ઊંડા કરવાનું કામ લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યું છે. તેનાથી આગામી ચોમાસામાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણીની જળસંગ્રહ ક્ષમતા વધશે અને ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બનશે અને ભાવિ પેઢી પર દુકાળના ઓછાયા પડશે નહીં, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જળસંચય અભિયાન દરમિયાન ખોદકામ સમયે નીકળતી ફળદ્રુપ  માટી (કાંપ) ખેડૂતો પોતાના ખેતરોમાં પાથરી રહયાં છે. જેથી ખેડૂતોની જમીન ફળદ્રુપ થવા સાથે પાક ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતો સમૃધ્ધ થશે. મનરેગા હેઠળ તળાવો ઊંડા થતાં લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજયના વિકાસના પાયામાં પાણી છે. વિકાસને વરેલી આ રાજય સરકારે જ્ઞાતિજાતિ-વર્ગ-ધર્મ તેમજ પક્ષાપક્ષીથી દૂર રહી ગરીબો-વંચિતો-શોષિતો-પીડિતોના વિકાસ માટે સમગ્ર રાજયમાં સર્વગ્રાહી રીતે જળસંચય અભિયાન ઉપાડયું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે કોઇ ચૂંટણીલક્ષી અભિયાન નથી પરંતુ સમગ્ર ગુજરાતના કલ્યાણ માટેનું લોકઅભિયાન છે. રાજય સરકારે લોક સહયોગથી બેટી બચાવો, બેટી પઢાવો, વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાન ઉપાડયાં છે જેના સકારાત્મક પરિણામો મળી રહયાં છે એ જ કડીમાં હવે આ અભિયાન ઉપાડીને ગુજરાતની ભાવિ પેઢીને જળસમૃધ્ધ બનાવવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જળસંચય અભિયાન હેઠળ ૫૫૦૦ કિ.મી.ની કેનાલ સફાઇ તથા ૩૨ નદીઓને પુનઃજીવિત કરવામાં આવી રહી છે. જળ જીવન છે અને પાણી પ્રભુનો પ્રસાદ છે ત્યારે પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્ણ ઉપયોગ કરવા નાગરિકોને તેમણે અનુરોધ કર્યો હતો.

અવસરે પંચામૃત ડેરી દ્વારા પંચમહાલ જિલ્લામાં જળસંચયના કામો માટે રૂ.૨૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી ભવ્યકાંત શાહે જળસંચય માટે રૂ.૧૫ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.

ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રેરિત રાજયવ્યાપી સુજલામ સુફલામ જળઅભિયાનને આવકારતાં જણાવ્યું હતું કે જળસંચય અભિયાન દરમિયાન શહેરા તાલુકાના ૬૫ તળાવોને ઊંડા કરવામાં આવશે. શહેરા તાલુકામાં તળાવો ઊંડા કરવાના ૨૫ કામો પૂર્ણ થયા છે. જયારે ૪૦ કામો પ્રગતિમાં છે. શહેરા તાલુકામાં કામગીરી માટે રૂ.૩૦ લાખનો આર્થિક સહયોગ સાંપડયો હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

પ્રારંભમાં કલેકટર શ્રી ઉદિત અગ્રવાલે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી .જે.શાહે આભારવિધિ કરી હતી.

અવસરે પંચાયત રાજયમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા, મણીનગર સ્વામિનારાયણ મંદિરના સંત સર્વશ્રી યોગપ્રિયદાસજી મહારાજ, પ્રેમસ્વરૂપદાસજી મહારાજ, સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કેતુબેન દેસાઇ, ધારાસભ્યો સર્વશ્રી સી.કે.રાઉલજીસુમનબેન ચૌહાણ, પૂર્વ ધારાસભ્યોશ્રીઓ, અગ્રણીશ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પરાક્રમસિંહ જાડેજા, અશ્વિનભાઇ પટેલ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહયાં હતા.

(5:01 pm IST)