Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

બજેટ સત્રમાં કોંગી સભ્યોની ગેરહાજરીથી સત્ર એકતરફી

રાજકીય ઉથલપાથલ વચ્ચે બજેટ સત્ર યથાવત્ : રાજ્યસભા ચૂંટણીને લઇ જયપુરમાં ગયેલા ધારાસભ્યોની ગેરહાજરીથી બજેટ સત્ર માટે કામગીરી ગૃહમાં એકતરફી

અમદાવાદ,તા. ૧૭ : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને જયપુર મોકલી દીધા છે. પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને પગે રેલો આવ્યો છે. જો કે, કોંગી ધારાસભ્યોની ગેરહાજરી છતાં વિધાનસભામાં બજેટ સત્રની કામગીરી યથાવત્ રાખવામાં આવી છે. અલબત્ત, કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરીથી વિધાનસભા સત્રમાં એકતરફી ચર્ચા અને કાર્યવાહી રહેશે તે સ્વાભાવિક છે. રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા અને ૬૭ ધારાસભ્યોને જયપુર રિસોર્ટ ખાતે લઇ જવાના ઘટનાક્રમ અને હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે પણ આજે ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી.

         જેમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચામાં વિપક્ષના એક પણ ધારાસભ્ય હાજર રહ્યા હતા. વિપક્ષી ધારાસભ્યો હાલ જયપુર ખાતે રિસોર્ટ્સમાં છે અને તેઓ તા.૨૫ માર્ચે પરત ફરે તેવી શકયતા છે અને ૨૬ માર્ચે રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે મતદાન થશે. એટલે કે આગામી તા.૨૫ માર્ચ સુધી કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરીથી વિધાનસભાના બજેટ સત્રની કામગીરી એકતરફી રહેશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કોંગ્રેસ પક્ષ તરફથી કોરોના વાઇરસની દહેશત અને તેની અસરોને લઇ વિધાનસભા સત્ર ટૂંકાવવાની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી જો કે, રાજય સરકાર તરફથી કોંગ્રેસની માંગ ધરાર ફગાવી દેવામાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં પહેલી વખત વિરોધપક્ષ વોકઆઉટ કે સસ્પેન્શન વગર ગૃહમાં ગેરહાજર રહ્યુ છે. અને એકાદ દિવસ નહી પરંતુ આગામી તા.૨૫મી સુધી હાજર નહી રહે. બીજી તરફ સરકાર આખુ બજેટ સત્ર પૂર્ણ કરવાના મૂડમાં છે, જે વિધાનસભાની કાર્યવાહી ઉડીને આંખે વળગે એવી છે.

       હોર્સ ટ્રેડિંગથી પોતાના ધારાસભ્યોને બચાવવા પ્રયાસ કરી રહેલી કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને જયપુરના રિસોર્ટમાં ખસેડ્યા છે. જ્યારે લોકોના પ્રશ્નોની વાત સમયે એક પણ કોંગ્રેસનો ધારાસભ્ય વિધાનસભામાં આજે હાજર રહ્યા નથી, જે ઘટના ખરેખર નોંધનીય બની રહી હતી.

(10:21 pm IST)