Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

શહીદ થયેલ લોકોને શ્રધ્ધાંજલિ અર્પિત કરતા ધારાસભ્ય ગ્યાસુદીન શેખઃ અમદાવાદમાં મૌન વિરૂધ્ધ પ્રદર્શન

અમદાવાદ : ન્યુઝીલેન્ડ ક્રાઇસ્ટચર્ચ ખાતે બે મસ્જીદમાં થયેલા આતંકવાદી હૂમલામાં શહીદ થયેલા લોકો માટે સીદી સઇદની મસ્જીદ ખાતે કુરઆનનું પઠન કરવામાં આવ્યુ હતું અને દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે સિદી સૈયદની જાળી, લાલ દરવાજા ખાતે આતંકવાદ વિરૂધ્ધ મૌન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. ન્યુઝીલેન્ડમાં બનેલ આતંકવાદી ઘટનાથી પ્રસ્થાપિત થાય છે કે આતંકવાદીઓનો કોઇ ધર્મ હોતો નથી. અને તેઓ ફકત માનવતાના દુશ્મન છે.  ધારાસભ્ય શ્રી ગ્યાસુદીન શેખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીદી સઇદની મસ્જીદ ખાતે પ્રાર્થના કરવામાં આવી હતી કે ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી આતંકવાદી પ્રવૃતિઓ નેસ્તનાબુદ થાય અને નિર્દોષ લોકોનું લોહી રેડાતું બંધ થાય. ધર્મના નામે થતી આતંકવાદી પ્રવૃતિઓ કરનારાઓને કુદરત પણ માફ કરશે નહીં. સમગ્ર વિશ્વમાં શાંતિ ભાઇચારા અને અમનનો માહોલ પ્રવર્તમાન થાય અને શૈતાની કૃત્ય કરનારા લોકોને ભગવાન સદબુધ્ધિ આપે.  ઉપરોકત કાર્યક્રમમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, મ્યુનિ. કોર્પોરેશન વિપક્ષના નેતા દિનેશ શર્મા, અમદાવાદ, પશ્ચિમ લોકસભાના ઉમેદવાર રાજુભાઇ પરમાર અને પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા બદરૂદીન શેખ, ઇકબાલભાઇ એડવોકેટ, મ્યુનિસીપલ કાઉન્સિલરો, કોંગ્રેસના કાર્યકરો તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

(3:41 pm IST)