Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ભાજપ ઉમેદવારને બહુમતિથી જીતાડવા માટેનો સંકલ્પ કરાયો

લોકસભા ચૂંટણી સમિતિની મહત્વની બેઠક થઇ : નિરીક્ષકો દ્વારા તૈયાર કાર્યકરના સૂચનો-અભિપ્રાય અંગેનો અહેવાલ ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરાશે : ભરત પંડ્યા

અમદાવાદ,તા.૧૭ : ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં સુશાસન અને સુરક્ષા સાથે સમાજના દરેક વર્ગો તેમજ છેવાડાના માનવીની સમૃધ્ધિ અને વિકાસ માટે અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ આપી છે. ત્યારે ગુજરાત અને સમગ્ર દેશના લોકો નવા ભારતના સંકલ્પ સાથે ફરી એકવાર નરેન્દ્ર મોદીને દેશનું સુકાન સોંપવા થનગની રહ્યા છે. ગુજરાતમાં ફરીથી તમામ ૨૬ બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થાય તે માટે ભાજપાના લાખો કાર્યકરો ઉત્સાહપૂર્વક કામે લાગી ગયા છે. આજરોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ ત્રણ દિવસ ચાલનારી લોકસભા ચૂંટણી સમિતિ બેઠકમાં લોકસભાના નિરીક્ષકો અને જીલ્લા સંકલન સમિતિ સહિત મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારો અંગે ચર્ચા વિચારણાં થશે. આજરોજ વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આણંદ અને ખેડા એમ, કુલ ૧૧ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. લોકસભાની ભાજપની ટીમે ગુજરાતમાં કોઈપણ ઉમેદવારને આપશો અમે જનતાનાં આશીર્વાદ, જનસમર્થન, જનમતથી ભાજપનાં ઉમેદવારને જીતાડીશું તેવો વિશ્વાસ ભાજપની ચૂંટણી સમિતિનાં આગેવાનોને આપ્યો હતો. નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે દેશ અને ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે ત્યારે, અમે સહુ રાષ્ટ્રવાદ, વિકાસ અને લોકસેવાનાં ચોકીદાર બનીને ભાજપનાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીશું, તેમ લોકસભા અને જીલ્લાની ટીમે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આવતીકાલ તારીખ ૧૮ માર્ચ, સોમવારના રોજ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ, કુલ ૧૧ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે,અને તારીખ ૧૯ માર્ચ, મંગળવારના રોજ બાકી રહેલ રાજકોટ, કચ્છ, પોરબંદર અને જુનાગઢ એમ, ૪ બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ લોકસભા બેઠકદીઠ સંભવિત નામોની યાદી તૈયાર કરી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજુ કરશે તેમ શ્રી પંડ્યાએ અંતમાં જણાવ્યુ હતુ.

(9:56 pm IST)