Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

નોટબંધી બાદ ગુજરાત 'ફેક કરન્સી'નો ગઢ બન્યું : 6,93,60 ,000 જેટલી માતબર રકમની નકલી નોટ પકડાઈ : દેશભરમાં પ્રથમક્રમે

કોંગ્રેસના નેતા ડો,મનીષ દોશીએ RBI અને NCRB ના આંકડાને ટાંકીને ચોંકાવનારા આક્ષેપ કર્યા

અમદાવાદઃ કાળાંનાણને  અંકુશમાં લેવાના દાવા વચ્ચે નોટબંધી થયા પછી પણ ફેક કરન્સી મોટા પ્રમાણમાં વધારો થયો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. આરબીઆઇના (RBI) વર્ષ 2018ના આંકડા પ્રમાણે કાળા નાણામાં ગુજરાત  અવ્વલ નંબર છે તેવો આક્ષેપ કોંગ્રેસ પક્ષે કર્યો છે. કાળુ નાણું, ભ્રષ્ટાચારને નાથવાની ગુલબાંગ સાથે કરેલ નોટબંધી બાદ ગુજરાત 'ફેક કરન્સી'નો ગઢ બન્યું છે, દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે.

           ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ 2018માં FICN (ફેક ઈન્ડિયન કરન્સી નોટસ)  500ની નકલી નોટમાં 121 ટકા, 2000ની નકલી નોટમાં 21.9 ટકાનો વધારો થયો છે. નેશનલ ક્રાઈમ બ્યૂરો રિપોર્ટ (NCRB) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નાં આંકડાઓ મુજબ વર્ષ 2018માં દેશભરમાંથી પકડાયેલી ફેક કરન્સીમાં ગુજરાતમાં 6,93,60,000 જેટલી માતબાર રકમની નકલી નોટો પકડાઈ હતી. પકડાયેલી કુલ નકલી નોટોમાં 56 ટકા જેટલી નોટો 2000ની છે. નકલી નોટો મામલે દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવે છે.
             વધુમાં ડૉ દોશીએ જણાવ્યુ હતું, કે નોટબંધીની જાહેરાત સાથે નવેમ્બર 2016માં દેશમાં રૂ.500 અને 1000ની નોટોને ચલણમાંથી બંધ કરવામાં આવી. તે વખતે પ્રધાનમંત્રીએ નકલી નોટો પર રોક લાગશે તેવી વાતો કરી હતી પણ NCRBએ 2016માં નકલી નોટોને પોતાના રિપોર્ટમાં જાહેર થયેલ આંકડા દેશભરમાં જપ્ત કરાયેલી નકલી નોટોને લઈને એક વર્ષના આંકડા મુજબ 2017માં રૂ. 28.1 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જે 2016માં જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની તુલનામાં 76ટકા વધારે છે. ત્યારે રૂ. 15.9 કરોડની કિંમતની નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી. જે દર્શાવે છે કે દેશમાં આર્થિક ગુન્હા ખોરીનો આંક સતત ઉંચે જઈ રહ્યો છે. રૂ. 2000ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી 53 ટકાથી વધુ 2017માં પકડાયેલી હતી જ્યારે વર્ષ 2018માં 56 ટકા જેટલી નકલી નોટો પકડાઈ.
              કોંગ્રેસ નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં દેશભરમાં પકડાયેલી 2000ની નકલી નોટનો આંક 74,898 હતો જે વધીને 1,18,260 થઈ જવા પામ્યો છે. માત્ર ગુજરાતમાં જ 2000ની નકલી નોટ રૂ. 6,93,60,000 જેટલી માતબર રકમ પકડાઈ હતી. જો કે ચોંકાવનારી બાબત એ છે કે સમગ્ર ભારતમાં ગુજરાત નકલી નોટોમાં પ્રથમ ક્રમાંકે આવે છે. ગૃહવિભાગ આર્થિક ગુન્હા અન્વેષણ ખાતુ શું કરે છે ?

             વર્ષ 2017, 2018માં NCRBના અહેવાલે ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પાડ્યો છે. જે પ્રકારે નકલી નોટો પકડવામાં વધારો થયો છે. તે સ્પષ્ટ દર્શાવે છે કે, નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા સામેની નહી પરંતુ પોતાના સાથીદારો - મળતીયાઓ - ઉદ્યોગગૃહોના લાભ માટે કરવામાં આવી હતી. સમગ્ર આર્થિક ગુન્હા ખોરીમાં મુખ્યમંત્રી હસ્તકનો રાજ્યનો ગૃહવિભાગ સતર્ક બનીને કડકમાં કડક પગલા ભરે તો જ આ ભ્રષ્ટાચાર, કાળુનાણુ અને નકલી નોટો સામેનો જંગ લડી શકાશે.

(8:37 pm IST)