Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

બાળકને જન્મ આપનાર માતા કે પિતાનું નામ બદલીને તેની જગ્‍યાઅે પાલક માતા-પિતાનું નામ લખવુ ગેરકાયદેસરઃ અમદાવાદ સેશન કોર્ટનો ચૂકાદો

અમદાવાદઃ શહેરની સેશન કોર્ટ દ્વારા બાળકના બર્થ સર્ટિફિકેટ પર જન્મ આપનાર પિતાના નામની જગ્યાએ પાલક પિતાનું નામ સુધારી આપવાની ના પાડી હતી. કોર્ટે કહ્યું કે, ‘બાળકને પોતાની ઓળખ, રાષ્ટ્રિયતા, નામ અને પારિવારિક સંબંધોને સાચવવા દેશના કાયદાએ હક્કો આપ્યા છે.’ સેશન કોર્ટનો આ ચુકાદો શહેરના બે કેસમાં આવ્યો હતો જેમાં મહિલાએ બીજા લગ્ન બાદ પોતાના બાળકના પિતાનું નામ બદલવા માટે અરજી કરી હતી. સેશન કોર્ટે કહ્યું કે, ‘બાળકને જન્મ આપનાર માતા કે પિતાનું નામ બદલીને તેમની જગ્યાએ પાલક માતા-પિતાનું નામ લખવું કે ગેરકાયદેસર છે. તે માન્ય ગણાય નહીં.’

સેશન કોર્ટે કહ્યું ‘ગેરકાયદેસર છે આ રીતે નામ બદલવું’

આ માટે કોર્ટે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આવ જ એક કેસમાં આપેલ ચુકાદાને ક્વોટ કર્યો હતો. જેમાં મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘માની લોક કે ભગાવાને હજુ ત્રીજીવાર પણ કોઈના માટે લગ્ન લખ્યા હોય, જે સામાન્ય રીતે પશ્ચિમી દેશોમાં ખૂબ સામાન્ય વાત છે ત્યારે શું જ્યારે જ્યારે માતા કે પિતા ફરી પરણે તો દર વખતે બાળક પોતાનું નામ જ બદલાવતું રહે.’ સેશન કોર્ટ દ્વારા રાણિપ અને બોપલના રહેવાસી બે અલગ અલગ કપલના નામ બદલી આપવાના કેસમાં આ ચુકાદો આપ્યો હતો.

છુટાછેડા લીધા બાદ પણ સંતાનના ના પાછળ જન્મદાતા પિતાનું નામ

પ્રથમ કેસમાં રાણિપમાં રહેતા જગદીશ પટેલ અને તેમની પત્ની વૈભવી તેમની પુત્રી પ્રિયાંશીના બર્થ સર્ટિફિકેટમાંથી તેના જન્મ આપનાર પિતા કમલેશકુમાર જૈનનું નામ કાઢી નાખીને તેની જગ્યાએ પાલક પિતા જગદીશ પટેલનું નામ એડ કરવા માગતા હતા. વૈભવીએ પ્રથમ પતિ જૈન સાથે છુટાછેડા લીધા બાદ જગદીશ સાથે લગ્ન કર્યા હતા અને જગદીશે તેની દીકરી પ્રિયાંશીને પોતાની દીકરી તરીકે દત્તક લીધી હતી. આ ઉપરાંત બર્થ સર્ટિફિકેટમાં વૈભવીનું નામ વૈશાલી લખાયું હતું જે સુધારવા માટે પણ તેણે પોતાની અરજીમાં ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ કોર્ટે બર્થ સર્ટિફિકેટમાં નામ બદલવાની ના પાડીને તેને ગેરકાયદેસર ગણાવ્યું હતું.

કાયદાએ બાળકની ઓળખ જાળવવા આપ્યા છે હક્કો

આવા જ બીજા કેસમાં બોપલ નિવાસી ભાનુપ્રસાદ ચૌધરી અને તેની પત્નિ શિલ્પા તેમની દીકરી મનાલીના બર્થ સર્ટિફિકેટમાંથી શિલ્પાના પ્રથમ પતિ ઘનશ્યામ પટેલનું નામ બદલવા માગતા હતા. પોતાના પ્રથમ પતિના મૃત્યુ બાદ શિલ્પાએ ભાનુપ્રસાદ સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ મદ્રાસ હાઈકોર્ટ અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ચુકાદાનો રેફરન્સ આપીને સેશન જજ ટી.કે. રાણાએ તેમની અરજી નકારી કાઢી હતી.

હિંદુ દત્તક કાયદા મુજબ આવા કિસ્સામાં નામ બદલી શકાય નહીં

સેશન જજે ચુકાદો આપતા કહ્યું કે, ‘કાયદા દ્વારા દરેક બાળકને એ હક્ક આપવામાં આવ્યો છે કે તે પોતાની કાયદેસર ઓળખ, રાષ્ટ્રિયતા અને તેના પરિવારના સંબંધોને જાળવી રાખે. બાળકને દત્તક લેવાના હિંદુ કાયદાના મૂળભૂત આધાર મુજબ ક્યારે પણ બાળકના જન્મદાતા માતા-પિતા અને બાળકના સંબંધને અલગ કરી શકાય નહીં. જેના કારણે દત્તક લેનાર માતા પિતાનું નામ બાળકના જન્મ આપનાર માતા-પિતા સાથે બદલી શકાય નહીં.’

અનાથ બાળકના દત્તક લેવામાં બદલી શકાય છે નામ

કોર્ટ આગળ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘જો બાળકને તેના જન્મદાતા માતા-પિતા દ્વારા તજી દેવામાં આવ્યું હોય અથવા તે અનાથ હોય તેવા કિસ્સામાં બાળકને દત્તક લેનાર માતા-પિતાનું નામ સહેલાઈથી ઉમેરી શકાય છે અને તે કાયદેસર પણ છે. પરંતુ તલાક અને પુનર્વિવાહના કિસ્સામાં બાળકના બર્થ સર્ટિફિકેટમાં તેના સાવકા માતા-પિતાનું નામ એડ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. તેમજ આવું કરવાથી પોતાના જન્મદાતા માતા-પિતા દ્વારા બાળકને મળતા વારસામાં પણ અનેક અડચણ આવી શકે છે.’

(4:36 pm IST)