Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

સ્વ. સુરૂભા ઝાલાની મૃત્યુ અંગે લોકોની મદદ માંગતા ડીવાયએસપી કે.ટી. કામરીયાઃ અખબારોમાં જાહેર અપીલ કરી જાણકારી માંગી

રાજકોટથી ગયેલુ અઢી કરોડનું સોનુ રસ્તામાં ગૂમ થવા-કસ્ટોડીયલ ડેથનું ચકચારી પ્રકરણ

રાજકોટ, તા. ૧૭ :. રાજકોટની એક કુરીયર કંપની દ્વારા અઢી કરોડનું સોનુ અમદાવાદ જતુ હતુ ત્યારે આ સોનુ ગૂમ કરવાનો જેના પર આક્ષેપ હતો તેવા મૂળ લીંબડી પંથકના સુરૂભા ઝાલાના કસ્ટોડીયલ ડેથ મામલામાં અનેક તપાસો કરવાનો બહોળો અનુભવ ધરાવતા સાણંદના ડીવાયએસપી કે.ટી. કામરીયાએ હાઈકોર્ટના જવાબોના પગલે-પગલે જસ્ટીસ સોનિયાબેન ગોકાણીએ આ મામલામાં એસઓજી ઉપરાંત અન્ય કયા - કયા પોલીસ અધિકારીઓની સંડોવણી છે ? તેની તપાસ તા. ૨૮મી સુધીમાં કરવાનો હુકમ કર્યાના પગલે પગલે વિસ્તૃત રીતે અને પારદર્શક તપાસ થઈ શકે તે માટે તપાસનીશ ડીવાયએસપી કે.ટી. કામરીયાએ લોકોની મદદ માંગવાનો નિર્ણય કર્યો છે. ઉકત નિર્ણયના ભાગરૂપે તેઓએ આ ઘટનામાં જે કોઈ લોકો કોઈ બાબત જાણતા હોય તો તપાસનીશ પોલીસ અધિકારીઓની ટીમને આ માહિતી આપવા વિનંતી કરતી યાદી અખબારોમાં પ્રસિદ્ધ કરાવી છે. આમ આ મામલે કોઈ શંકા-કુશંકા ન રહે તે માટે આ મહત્વનો નિર્ણય થયાનું સૂત્રો જણાવે છે.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ હાઈકોર્ટમાં રજૂ થયેલ તપાસ સંબંધેના તમામ દસ્તાવેજો જસ્ટીસશ્રીએ તપાસ્યા બાદ તપાસ સીઆઈડી ક્રાઈમને સુપ્રત કરવાના હુકમ કરવાના બદલે, મૃતકને બગોદરાથી લઈ આવ્યા ત્યાંથી માંડી છેલ્લી ઘડી સુધીના કાર્યમાં કયા અધિકારી અને કયા સ્ટાફની શું ભૂમિકા હતી ? તેનો ઉંડાણપૂર્વકનો રીપોર્ટ રજુ કરવા ડીવાયએસપી કે.ટી. કામરીયાને સૂચવ્યુ હતું. 

અત્રે યાદ રહે કે, પ્રથમ મુદતે જ હાઈકોર્ટના પ્રશ્નના જવાબમાં સાણંદના તપાસનીશ અનુભવી ડીવાયએસપી કે.ટી. કામરીયાએ સ્પષ્ટપણે જણાવેલ કે, સુરૂભા ઝાલાના કસ્ટોડીયલ ડેથની તપાસ દરમિયાન ઝીણવટભર્યા પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા અને આ પુરાવાઓના આધારે જ એસઓજીના ૩ અધિકારીઓની સંડોવણી બહાર આવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

ડીવાયએસપી કે.ટી. કામરીયાએ વિશેષમાં સમગ્ર ઘટનાનું બયાન કરતા જણાવેલ કે, સ્વ. સુરૂભા ઝાલા પર અઢી કરોડ સોનાની ચોરીનો આરોપ હતો. જે આધારે બોપોલ પોલીસે તેમની એલસીબીમાં પૂછપરછ હાથ ધરી હતી. તેઓની ધરપકડ ત્યાં સુધી કરવામાં આવી ન હતી. આ પ્રકરણમાં એલસીબીના એક પોલીસમેનની સંડોવણી હોવાનું ખુલતા કાર્યવાહી થઈ હતી ત્યાર બાદ એસઓજી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવેલ. આ દરમિયાન તેઓને પીડા આપવામાં આવી હતી. સમગ્ર તપાસ દરમિયાન એલસીબીના પીએસઆઈ શ્રી ગોહિલની સંડોવણી કોઈપણ રીતે બહાર આવી નથી કે તેઓની સામે કોઈપણ જાતના પુરાવાઓ મળ્યા નથી માટે તેમને તપાસ રેકર્ડમાં આરોપી દર્શાવ્યા નથી.

અત્રે યાદ રહે કે સ્વ. સુરૂભાના ભાઈ મહાવીરસિંહ દ્વારા હાઈકોર્ટમાં પોલીસ આ તપાસ યોગ્ય રીતે ન કરતી હોવાનો આક્ષેપ કરી આ મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવા માંગણી કરતી જે રીટ અરજી કરી હતી તે સંદર્ભે હાઈકોર્ટના હુકમથી ડીવાયએસપી કે.ટી. કામરીયા તપાસના તમામ દસ્તાવેજો સાથે બુધવારે પ્રથમ વખત હાજર રહ્યા હતા.(૨-૧૫)

(4:02 pm IST)