Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે ભારતના ૭૨ માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણી નું આયોજન

તા.૧૯ મી એ રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ અને શ્રીમતી રૂકમણી દેવી ગોહિલની ઉપસ્થિતિમાં “નૌકા અભિયાન” નો કરાશે શુભારંભ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વ હેઠળ ગુજરાતના યુવાનોની તાલીમ અને પ્રેરણામાં મોખરે રહેલાં ગુજરાતના NCC ના આર્મી, નેવી અને એરફોર્સના કેડેટ્સને તાલીમબધ્ધ કરવાની સાથે તેમનામાં સાહસ-શોર્યની ભાવના કેળવાય તેવા હેતુથી અનેકવિધ સાહસિક પ્રવૃત્તિઓનું સમયાંતરે સુચારૂં આયોજન પણ કરવામાં આવે છે અને તેના ભાગરૂપે તથા ભારતના ૭૨ માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં કમાન્ડીંગ ઓફીસ ૯-નેવલ યુનિટ, NCC-નવસારી ધ્વારા અને ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના દિશા નિર્દેશો હેઠળ તા.૧૮ મી થી તા.૨૭ મી નવેમ્બર,૨૦૨૧ દરમિયાન રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે નૌકા અભિયાન- ૨૦૨૧ યોજાશે.
રાજપીપલાના રાજવી પરિવારના રઘુવીરસિંહ ગોહિલ અને શ્રીમતી રૂકમણીદેવી ગોહિલ તેમજ વડોદરા NCC ગૃપ હેડ-કવાર્ટરના બ્રિગેડીયર બી.એસ.રાવત તથા ૯-નેવલ યુનિટ, NCC નવસારીના લેફ. કમાન્ડર અમીત નૈન અને વડોદરા NCC ગૃપ હેડ-ક્વાર્ટરના ૩૦૦ જેટલા NCC કેડેટસની ઉપસ્થિતિમાં તા.૧૯ મી નવેમ્બર,૨૦૨૧ ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ કલાકે કરજણ ડેમ સાઇટ ખાતે “નૌકા અભિયાન-૨૦૨૧” માં ભાગ લઇ રહેલાં નેવલ વિંગના ૮૫ જેટલા NCC કેડેટ્સના આ અભિયાનને ફ્લેગ ઓફ કરી(ઝંડી ફરકાવીને) પ્રસ્થાન કરાવશે, જેમાં આ તાલીમ-અભિયાન દરમિયાન ભાગ લઇ રહેલાં NCC કેડેટ્સ ૨૧૦ કિ.મી. અંતર કાપશે.

(10:26 pm IST)