Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

સુરતના કામરેજ તાલુકાની ખાનપુર ગામની જમીન એકથી વધુ વ્યક્તિને વેચી ઠગાઈ આચરનાર બને આરોપીના રિમાન્ડ અદાલતે મંજુર કર્યા

સુરત: શહેરના કામરેજ તાલુકાની ખાનપુર ગામની જમીન એકથી વધુ વ્યક્તિને વેચાણ આપી ગુનાઈત વિશ્વાસઘાત ઠગાઈનો કારસો રચી લેન્ડગ્રેબિંગ એક્ટનો ભંગ કરનાર બે આરોપીઓને કામરેજ પોલીસે સુરત સેશન્સ કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે બંને આરોપીઓને તા.17મી નવેમ્બર સુધીના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વતની ફરિયાદી યશવંત છગન સાવલીયા (રે.ગાંધી વિહાર સોસાયટી,એલ.એચ.રોડ સુરત)એ આરોપી જીતેન્દ્રસિંહ ફતેસિંહ ચૌહાણ (રે.ખાનપુર તા. કામરેજ) તથા અશોક ચંદ્રસિંહ વાંસીયા (રે.બગુમરા તા.પલસાણા) વિરુધ્ધ ખાનપુર ગામના રેવન્યુ સર્વે નં.211-બની જમીનના વેચાણ સંબંધી ગુનાઈત ઠગાઈ- વિશ્વાસઘાત કરીને એકથી વધુ વ્યક્તિને વેચીને લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ભંગ કરવાના કારસા અંગે ફરિયાદ નોંધાવી હતી.લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રચાયેલી સમીતીની બેઠકમાં બંને આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધવા કામરેજ પોલીસને નિર્દેશ આપ્યો હતો.

જેથી કામરેજ પોલીસે ગુનાઈત ફોર્જરી વિશ્વાસઘાત તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટના ભંગ બદલ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડની માંગ સાથે સુરત સેશન્સ કોર્ટમાં રજુ કર્યા હતા.જેની સુનાવણી દરમિયાનએપીપી રાજેશ ડોબરીયાએ આરોપી જીતેન્દ્રસિંહ ચૌહાણે પોતાની જમીનના બે દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર સમક્ષ તથા બે દસ્તાવેજ પાવર ઓફ એટર્નીના આધારે કરી કુલ ચાર વ્યક્તિને દસ્તાવેજ કરી આપ્યા છે.જે અસલ દસ્તાવેજો કબજે કરવાના છે.આરોપીએ પોતાના ઓળખીતા ઈશ્વરસિંહ ઉર્ફે બચુકાકા છીતુસિંહ મારફતે એક જમીનનું બે વાર વેચાણ કર્યું હોય તેમની પુછપરછ કરવાની છે.આરોપીએ રૃ.4 લાખમાં હાજા પુંજા કડછાને લખી આપેલા પાવર આધારે પ્રફુલ્લ છગનને દસ્તાવેજ કરી આપ્યો હોઈ તે બાબતે પુછપરછ કરવાની છે.આરોપી પાછળ કોનું પીઠબળ છે તેની તપાસ કરવા,મૂળ દસ્તાવેજ મેળવવાના છે.જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓને તા.17મી નવેમ્બર સુધી રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

 

(5:54 pm IST)