Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

આણંદ જિલ્લાના ઓડ-ઉમરેઠ માર્ગ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલ કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા ગોઝારા અકસ્માતમાં મહિલાનું મોત

આણંદ : આણંદ જિલ્લાના ઓડ-ઉમરેઠ માર્ગ ઉપર આવેલ એક પેટ્રોલપંપ નજીક આજે સવારના સુમારે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ એક કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં ઉતરી પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ૫૦ વર્ષીય મહિલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજ્યું હતું.

નવસારી જિલ્લાની ચીખલી ગામે રહેતા પુરસોત્તમલાલ ભગવાનરામ પ્રજાપતિ મિસ્ત્રી કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. આજે સવારના પાંચેક વાગ્યાના સુમારે તે તથા તેમની કોયલદેવી અને બે દિકરીઓ સાથે રાજસ્થાન જવા માટે ચીખલી ગામેથી નીકળ્યા હતા. તેઓની કાર સુરત થઈ વડોદરાથી સાવલી થઈ ઓડ તરફ જઈ રહી હતી ત્યારે સવારના લગભગ સાડા દસેક વાગ્યાના સુમારે ઓડ-ઉમરેઠ માર્ગ ઉપર આવેલ એક પેટ્રોલપંપ નજીક પુરસોત્તમલાલ પ્રજાપતિએ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં આવેલ ગટરમાં ઉતરી ગઈ હતી અને પલ્ટી ખાઈ ગઈ હતી. 

આ અકસ્માતમાં કારમાં સવાર બે દિકરીઓ સહિત પતિ-પત્નીને ઈજાઓ પહોંચી હતી. જો કે પત્ની કોયલદેવીને ગંભીર ઈજાઓ પહોંચતા તેણીને ૧૦૮ ઈમરજન્સી વાન મારફતે ઓડ સરકારી દવાખાનામાં લઈ જવાયા હતા. જો કે ફરજ પરના તબીબે  કોયલદેવીને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:53 pm IST)