Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

આઝાદીના નિવેદન મામલે કંગના રાણાવત વિરુદ્ધ અમદાવાદમાં AAP દ્વારા પોલીસ ફરિયાદ દાખલ

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે કંગના રાણાવત અને ખાનગી ચેનલના પત્રકાર વિરુદ્ધમાં અરજી કરી

અમદાવાદ: બોલિવૂડ અભિનેત્રી કંગના અમરદીપ રાણાવત પોતાના નિવેદનોને કારણે અવાર નવાર ચર્ચામા રહી છે ત્યારે ગત 10 તારીખે કંગનાએ એક નિવેદન આપ્યું હતુ જેના તેણે જણાવ્યું હતુ કે, “1947ની આઝાદી મળી છે તે ભીખ છે, સાચી આઝાદી તો 2014માં મળી છે”

આ નિવેદનના કારણે તે સોશિયલ મિડીયા પર ટ્રોલ થઈ હતી. સાથે સાથે અલગ અલગ રાજ્યમાં તેના વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. હવે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે કંગના રાણાવત અને ખાનગી ચેનલના પત્રકાર વિરુદ્ધમાં અરજી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, ગત 10 તારીખના સાંજના સાત વાગ્યે ખાનગી ચેનલના એક કાર્યક્રમમાં કંગના હાજર હતી. જેમાં કંગના ભારતની આઝાદી તથા શહીદો વિષે જણાવ્યું હતુ કે, “1947માં જે આઝાદી મળી છે તે તો ભીખ છે અને સાચી આઝાદી તો 2014માં મળી છે”.

આવા શબ્દોનું સમર્થન પત્રકારે પણ કર્યું હતુ અને પોતાના ચેનલ ના માધ્યમથી આખા દેશમાં તેનું પ્રસિદ્ધિકરણ કર્યું હતુ. જેથી લોકો વચ્ચે દ્રેષભાવ ઉભો કરી અને આઝાદી માટે બલિદાન આપેલા તેવા શૂરવીર, દેશપ્રેમી સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન અને અનાદર કર્યું છે.

જેના પગલે પ્રણવ ઠક્કર અને તેમના ક્રાયકર્તાઓ દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કંગના રાણાવત અને પત્રકાર વિરુદ્ધમાં ઈરાદાપૂર્વક અપમાન કરવું, તોફાનો થાય તે રીતના નિવેદન આપવા અને રાજદ્રોહ ની કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ કરવાની વિનંતી કરી છે. આ અંગે નવરંગપુરા પોલીસે જણાવ્યું હતું કે, એક અરજી આપી છે જેમાં અભીનેત્રી અને એક પત્રકાર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પોલિસે સ્વીકારી છે અને તપાસ હાથ ધરી છે.

(10:50 pm IST)