Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

૨૦૨૨માં જુલાઈ બાદ લગ્નના કોઈ મુહૂર્ત નથી

કોરોનાના મારની સાથે વર્ષ સુધી લગ્ના મુહૂર્ત ઓછા : ફેબ્રુઆરીથી જૂન ૨૦૨૨ સુધીમાં લગ્નના સારા મુહૂર્ત છે, જોકે, ઓછા મુહૂર્ત છતાં લગ્નોની ભરમાર

અમદાવાદ, તા.૧૬ : દેવઉઠી એકાદશી અથવા તો તુલસી વિવાહના દિવસથી ચાતુર્માસના લાંબા વિરામ પછી એટલે કે લગભગ ચાર મહિના બાદ ફરી લગ્ન, ગૃહપ્રવેશ અને મુંડન જેવા તમામ શુભ કાર્યો શરૂ થઈ જાય છે.

૧૫ નવેમ્બરે દેવઉઠી એકાદશી પછી લગ્ન માટે શુભ મુહૂર્ત શરૂ થઇ ચુક્યા છે. હવે નવેમ્બર-ડિસેમ્બર મહિનો લગ્નની શુભ તિથિઓથી ભરેલો રહેશે.

જ્યોતિષાચાર્યોના મતે આ દરમિયાન ઘણી શુભ તિથિઓ આવશે જેમાં લગ્ન જેવા શુભ કાર્યક્રમો થઈ શકે છે. આ વર્ષે લગ્નના ઓછા મુહૂર્ત વચ્ચે લગ્નોની વધુ સંખ્યા જોવા મળી શકે છે કે કારણ કે ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે અનેક લોકોએ લગ્નો મોકુફ રાખ્યા હતા જે આ વર્ષે લગ્ન સમારંભ યોજી શકે છે.

જોકે મહામારી અને મોંઘવારીના કારણે ત્રસ્ત મધ્યમ વર્ગ ઘર આંગણે જ પોતાનો પ્રસંગ ઉજવી લે તો નવાઈ નહીં. તેવામાં આ વર્ષે ઘણા લગ્નો સાદાઈથી પણ યોજાઈ શકે છે.

જોકે અહેવાલ મુજબ પાર્ટી પ્લોટ્સ અને મેરેજ હોલના બુકિંગ અત્યારથી જ ફુલ થઈ રહ્યા છે. તેવામાં આવો જાણીએ આ વર્ષે એપ્રીલ સુધીની લગ્ન સીઝનમાં કેટલાં શુભ મુહૂર્ત આવે છે.

જ્યોતિષીઓ અનુસાર, નવેમ્બરમાં લગ્ન માટેનો પહેલો શુભ સમય ૧૪ નવેમ્બર હતો. હવે લગ્નના શુભ મુહૂર્ત ૧૫, ૧૬, ૨૦, ૨૧, ૨૨, ૨૮, ૨૯ અને ૩૦ નવેમ્બરે આવી રહ્યા છે. નવેમ્બર પછી ડિસેમ્બર ૧, ૨, ૬, ૭, ૮, ૯, ૧૧ અને ૧૩ તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત બની રહ્યા છે. ડિસેમ્બરની આ બધી તારીખો લગ્ન માટે શ્રેષ્ઠ છે.

વર્ષ ૨૦૨૨માં મલમાસ ૧૪ જાન્યુઆરી સુધી રહેશે. આ પછી ૧૫, ૨૦, ૨૨, ૨૩, ૨૪, ૨૫ અને ૨૮ જાન્યુઆરીએ લગ્નની શુભ તારીખો આવશે. આ પછી, ફેબ્રુઆરી ૨૦૨૨માં ફરીથી લગ્ન થશે. ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૮, ૧૯, ૨૦ અને ૨૨ તારીખે લગ્ન કરવા શુભ રહેશે. આ શુભ કાર્ય તમે કોઈપણ શુભ તિથિએ કરી શકો છો.

એપ્રિલ મહિનો પણ લગ્ન માટે શુભ તારીખોથી ભરેલો રહેશે. આ મહિને ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪ અને ૨૭ એપ્રિલ લગ્ન માટે શુભ તિથિઓ રહેશે. જૂન મહિનામાં લગ્ન માટેની શુભ તારીખો ૬, ૮, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૨૧, ૨૨, છે. આ દિવસોમાં માંગલિક કાર્યો કરવા શુભ છે.

 જે બાદ જુલાઈ મહિનામાં ૩, ૫, ૬ અને ૮ આ ચાર જ દિવસ શુભ તારીખ છે. ત્યાર બાદ ચાતુર્માસ શરૂ થઈ જતાં શુભ મુહૂર્ત નથી. ધનારક કમુહૂરતા તેમજ શુક્ર અને ગુરુ ગ્રહની અસ્તની સ્થિતિમાં લગ્ન થઈ શકતા નથી. જે મુજબ ૧૫ ડિસેમ્બર ૨૦૨૧થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ સુધી સૂર્ય ધન રાશિમાં રહેતા ધનારક કમુરતા રહેશે.

આ દરમિયાન ૫થી ૧૨ જાન્યુઆરી સુધી શુક્ર ગ્રહ અસ્ત રહેશે. જ્યારે ૨૧ ફેબ્રુઆરીથી ૨૨ માર્ચ સુધી ગુરુ ગ્રહ પણ અસ્તનો થતો હોઈ. આ સમયગાળામાં લગ્નની સિઝનને બ્રેક લાગશે. વિક્રમ સંવત ૨૦૭૮માં ૧૭ જુલાઈ, ૨૦૨૨ને રવિવારથી ચાતુર્માસ શરૂ થતો હોવાથી વર્ષના અંત સુધીમાં લગ્નનું કોઈ શુભ મુહૂર્ત નથી.

(8:58 pm IST)