Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

૭૦૦૦ દિવાની મહાઆરતીને લઇને લોકોમાં દિવ્યતા છવાઇ

ખડાયતા શ્રીકોટયર્ક પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી : મણિનગરથી રિવરફ્રન્ટ સુધી શોભા યાત્રામાં હજારો લોકો જોડાયા : ખડાયતા વૈષ્ણવ વણિકો મોટી સંખ્યામાં ઉમટયા

અમદાવાદ, તા.૧૭ : ખડાયતા કલ્ચરલ એન્ડ ક્રિએટિવ ગ્રુપના ઉપક્રમે ખડાયતા સશક્તિકરણ અંતર્ગત આજરોજ અમદાવાદ શહેરની સાબરમતી નદીના કિનારે રીવરફ્રન્ટ ખાતે ખડાયતા વૈષ્ણવ વણિક જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી કોટયર્ક પ્રભુના પ્રાગટ્યદિન પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાગટ્ય મહોત્સવ નિમિતે આજે શ્રી કોટયર્ક પ્રભુની સાત હજાર દિવાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેને લઇ સમગ્ર વિસ્તારમાં ભવ્ય દિવ્યતા છવાઇ ગઇ હતી. આ કાર્યક્રમના ભાગરૂપે મણિનગર એલજી કોર્નરથી લઇ સાબરમતી રિવરફ્રન્ટ સુધી વિશાળ રેલી-શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. દરમ્યાન ખડાયતા કલ્ચરલ એન્ડ ક્રિએટિવ ગ્રુપના પ્રમુખ શ્રી ગીરીશભાઇ જી. શાહ અને મુખ્ય યજમાન વિજયભાઇ ઠેકડીએ જણાવ્યું હતું કે, આજરોજ શ્રી કોટયર્ક પ્રાગટય મહોત્સવ દરમ્યાન અમદાવાદ તથા અમદાવાદની આસપાસ રહેતા ખડાયતા વૈષ્ણવ વણિકો પૈકી અંદાજે ૯૦૦૦ થી વધુ જ્ઞાતિબંધુઓ ઉમટયા હતા. આ પ્રસંગે શ્રી કોટયર્ક પ્રભુની ૭૦૦૦ દિવાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

                   જેના અનુસંધાનમાં આજે  મુખ્ય યજમાન શ્રી વિજયભાઇ જે ઠેકડીના નિવાસ સ્થાન દિપ આકૃતિ ફ્લેટ્સ, વ્યાયામ શાળા, મણિનગર ખાતેથી બપોરે ત્રણ વાગ્યે શ્રી કોટયર્ક પ્રભુની બગી, ડી.જે, કાર, સ્કુટર, એક્ટીવા, બાઇક સાથે રેલી સ્વરુપે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિશાળ શોભાયાત્રા રેલી સ્વરૂપે મણિનગર એલ.જી. કોર્નર થી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી હતી. જયાં સમાજના હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે સાંજે સાત વાગ્યે શ્રી કોટયર્ક પ્રભુની સાત હજાર દિવાઓની ભવ્યાતિભવ્ય આરતી ઉતારવામાં આવી હતી, જેને લઇ સમગ્ર વિસ્તારમાં ભવ્ય દિવ્યતા અને ભકિતસભર માહોલ છવાયા હતા. ઉપરાંત આ વર્ષે બાળકો માટે ચિલ્ડ્રનપાર્કનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો વિવિધ રાઇડોનો આનંદ નિઃશુલ્ક માણી શકશે. 

                    કાર્યક્રમમાં મેગાહાઉસીનું તથા પ્રસાદી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મગાહાઉસીમાં વિજેતા જ્ઞાતિબંધુઓ માટે એકટીવા, સ્પ્લીટ એસી સહિત આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા હતા. ખડાયતા કલ્ચરલ એન્ડ ક્રિએટિવ ગ્રુપના પ્રમુખ શ્રી ગીરીશભાઇ જી. શાહ અને મુખ્ય યજમાન વિજયભાઇ ઠેકડીએ ઉમેર્યું કે, સંસ્થા દ્વારા જ્ઞાતિબંધુઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે અન્નપૂર્ણા સહાય યોજના, સરસ્વતી સહાય યોજના, ખડાયતા સશકિતકરણ અભિયાન સહિતની અનેકવિધ સેવાભાવી પ્રવૃતિઓ ચલાવાઇ રહી છે. આ વખતે સૌપ્રથમવાર શ્રી કોટયર્ક પ્રભુની સાત હજાર દિવાઓની આરતી ઉતારવામાં આવી છે. આવતા વર્ષે પ્રભુજીની કૃપા હશે તો, શ્રી કોટયર્ક પ્રભુની ૧૧ હજાર દિવાઓની ભવ્યાતિભવ્ય મહાઆરતી ઉતારવાની અમારી ઇચ્છા છે.

(9:43 am IST)