Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ભાગેડુ સસ્પેન્ડેડ પીઆઈની અંતે કોર્ટ સમક્ષ શરણાગતિ

શેખની કસ્ટડી એસીબીને સોંપવામાં આવી : ગુટખા કંપની દ્વારા ૯૧૧ કરોડનો બિઝનેસ કરાયો હતો ૧૯૦ કરોડની વેટ ચોરી પકડાતાં બે કરોડની લાંચ માંગી

અમદાવાદ,તા. ૧૬ : કરોડો રૂપિયાની વેટચોરીના કેસમાં રૂ. બે કરોડની લાંચ માંગવાના ચકચારભર્યા કેસમાં ભાગેડુ સસ્પેન્ડેડ પીઆઇ આઇ.આઇ.શેખે આજે એસીબી કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી, ત્યારે એસબીના અધિકારીએ તેમની કસ્ટડી માટે અરજી કરી હતી, જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી આવતીકાલે સાંજે ચાર વાગ્યે  સસ્પેન્ડેડ પીઆઇ શેખને અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો. ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર આ કેસની વિગત એવી છે કે, ૨૦૧૬માં ગુટખા કંપની ધર્મપાલ સત્યદેવ દ્વારા રૂ.૯૧૧ કરોડનો બિઝનેસ કરાયો હતો, જેમાં રૂ.૧૯૦ કરોડની વેટની ચોરી પકડાઇ હતી, તેથી કંપનીના રાજેન્દ્ર કેશવાણી સહિત ૨૭ લોકો સામે સીઆઇડી ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ હતી, જેની તપાસ પીઆઇ આઇ.આઇ.શેખ કરી રહ્યા હતા. તેમણે આરોપીઓની ધરપકડ નહી કરવા માટે રૂ. પાંચ કરોડની લાંચ માંગી હતી અને અંતે બે કરોડમાં આખી વાત નક્કી થઇ હતી. જો કે, બાદમાં આરોપીઓએ વાતચીત રેકર્ડ કરી એસીબીમાં છટકુ ગોઠવડાવ્યું હતું. એસીબીમાં બાદમાં આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં રાજયના પોલીસ વડાએ આઇઆઇ શેખને સસ્પેન્ડ કર્યા હતા. જો કે, ત્યારબાદ પીઆઇ આઇ.આઇ. શેખ સતત નાસતા ફરતા રહ્યા હતા, સસ્પેન્ડેડ પીઆઇ શેખે આગોતરા જામીનઅરજી હાઇકોર્ટમાં પણ કરી હતી પરંતુ હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દઇ કોઇ જ રાહત આપી ન હતી. જેને પગલે પાછળથી એસીબીએ સીઆરપીસીની -૭૦ મુજબ આરોપી પીઆઇ શેખ વિરૂધ્ધ કોર્ટ મારફતે વોરંટ જારી કરાવ્યું હતુ પરંતુ તેમછતાં તેઓ હાથમાં નહી આવતાં એસીબી દ્વારા સીઆરપીસીની કલમ-૮૨ મુજબ કોર્ટ મારફતે ભાગેડુ જાહેર કરાવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ભાગેડુ અને સસ્પેન્ડેડ પીઆઇ આઇ.આઇ.શેખ દ્વારા આજે અચાનક સ્પેશ્યલ એસીબી કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી લેવામાંઆવી હતી. કોર્ટે શેખની ક્સ્ટડી એસીબીને સોંપી આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો.

(8:24 pm IST)