Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

શારદીય નવરાત્રિ પર્વના પ્રારંભે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી : સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેઇસબુકના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીએ નવરાત્રિ પર્વ પ્રારંભ પૂર્વે કરી હૃદયપૂર્વકની અપીલ

શકિત ઉપાસના પર્વ 'નવરાત્રિ'માં શકિતવંદના અભિયાનથી નારીશકિતની વંદના - યોગદાનને બિરદાવી સાચા અર્થમાં શકિત આરાધના પર્વ ઉજવીએ : વિજયભાઇ રૂપાણી

કોરોનાની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ આ વર્ષે નવરાત્રિ ગરબા આયોજનને મંજૂરી નથી આપી : કોરોનાની વેકસીન ન આવે ત્યાં સુધી માસ્ક પહેરો - હાથ વારંવાર સાબુથી ધોવો - સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી તહેવારોમાં થોડી વધુ કાળજી - સતર્કતા રાખો : 'શકિતવંદના' અભિયાનમાં તા. ૧૯-૨૧-૨૩ ઓકટોબરે અલગ-અલગ ક્ષેત્રોની ૯ જેટલી નારીશકિત સાથે સંવાદથી તેમની જીવનયાત્રાનો પરિચય કરાશે : માતા - બહેનો - પત્ની - દીકરી સ્વરૂપે નારીશકિતના આપણા જીવનમાં રહેલા મહાત્મ્ય - યોગદાન અંગે આભાર વ્યકત કરતો વિડીયો નવરાત્રિ દરમિયાન #Shakti Vandana સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરીએ

રાજકોટ તા. ૧૭ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શનિવાર તા.૧૭મી ઓકટોબરથી પ્રારંભ થઇ રહેલા શકિત ઉપાસના પર્વ શારદીય નવરાત્રિની દેશ-દુનિયામાં વસતા સૌ ગુજરાતીઓને અને રાજયના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેઇસબૂકના માધ્યમથી નવરાત્રિ પર્વના પૂર્વ દિને સૌને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, મા અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ ખાસ કરીને ગુજરાતમાં વિશેષ મહત્વ ધરાવતું પર્વ અને ઉત્સવ છે. ધાર્મિક મહાત્મ્ય સાથે સાંસ્કૃતિક મહત્વ પણ આ પર્વમાં સમાયેલું છે. નવરાત્રિ સંગીત, નૃત્ય અને ઉજવણીનું પર્વ છે. સૌ કોઇ આ પર્વની આખું વર્ષ રાહ જોતા હોય અને ગરબે ઘૂમવા ઉત્સુક હોય છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે કહ્યું કે, આ વખતની પરિસ્થિતિ થોડી અલગ છે. આખું વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે. આપણે પણ આ જ લડાઈ લડી રહ્યા છીએ. માટે પરિસ્થિતિની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને આ વખતે સરકારે દુઃખી હૃદયે નવરાત્રિના આયોજનોની તેમજ ગરબાની મંજૂરી આપી નથી.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, તહેવારોનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે પણ જીવ ના જોખમે તહેવારો ઉજવવા એ પણ સમજદારી નથી. અને હું જાણું છું કે, તમે બધા આ વાતથી મારી સાથે સહમત હશો અને પરિસ્થિતિની ગંભીરતાને સમજતા હશો. આ માટે સરકારે આપણા સૌના હિતમાં આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે.

તેમણે કોરોના સંક્રમણના આ કાળમાં સતર્કતા રાખવાની અપિલ કરતાં જણાવ્યું કે, જયાં સુધી વેકિસન ના આવે ત્યાં સુધી માસ્ક પહેરો, હાથ વારંવાર સાબુથી, સેનેટાઈઝરથી સાફ કરો અને સોશિયલ ડિસ્ટંન્સિગ જાળવો અને તહેવારોના સમયમાં તો થોડી વધારે કાળજી રાખો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શકિત ઉપાસના-આરાધનાના આ પર્વે શકિતવંદના અભિયાન શરૂ કરવાનું આહવાન કરતાં કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ 'નારી તું નારાયણી'માં માને છે. નારી એ શકિતનું સ્વરૂપ અને પ્રતિક પણ છે.

આપણા જીવનમાં રહેલી દરેક નારી, પછી એ માતાના સ્વરૂપમાં હોય, બહેન હોય, પત્ની હોય કે દીકરી હોય એ દરેક આપણા જીવનમાં, આપણી સફળતામાં, જીવનનાં તમામ ઉતાર ચઢાવમાં શકિતના સ્વરૂપમાં હાજર રહી છે, તેનો અમુલ્ય ફાળો રહ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

'આવો આપણે સૌ સાથે મળી આ નવરાત્રિમાં શકિતનાં સ્વરૂપને વંદન કરી તેના યોગદાનને બિરદાવીને સાચા અર્થમાં શકિતની આરાધનાના પર્વ નવરાત્રિને ઉજવીયે' એવી અપિલ તેમણે કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ શકિતવંદના અભિયાન અંતર્ગત તેઓ તા. ૧૯, ર૧ અને ર૩ ઓકટોબરે અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલી ૯ જેટલી નારીશકિત સાથે સંવાદ કરીને તેમની જીવન યાત્રા અને કાર્યોથી પરિચિત થશે અને તેમની વંદના કરશે.

તેમણે સૌને એવી અપિલ પણ કરી કે, દરેક વ્યકિતના જીવનમાં પ્રેરણા આપનાર, ઉતાર-ચઢાવમાં સાથ આપનારી માતા, બહેન, દિકરી કે પત્નીના નારીશકિતના યોગદાનને જણાવતો અને તેમનો આભાર વ્યકત કરતો વીડિયો નવરાત્રિના આ ૯ દિવસ દરમિયાન કોઈ પણ દિવસે હેશટેગ #Shakti Vandana સાથે સોશિયલ મીડિયા પર સૌ અપલોડ કરે અને કરાવે.

મુખ્યમંત્રીશ્રીએ પોતાના વ્યકિતગત જીવનમાં નારીશકિતના યોગદાનનું નિખાલસતાપૂર્વક વર્ણન કરતાં કહ્યું કે, તેમના માતાએ પરિવારમાં તેમના સહિત સૌ ભાઇ-બહેનોનું ઘડતર કર્યુ છે. પોતાના જીવનમાં સંવેદના, કરૂણા, દયા, અનુકંપા અને નાના માણસો પ્રત્યેનો જે સેવા-મદદ ભાવ છે તેમાં તેમજ દેરાસર, ઉપાશ્રય જેવા ધ્યાન-ધર્મ કાર્યોમાં માતાનું યોગદાન સતત રહેલું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના પત્નીએ પણ સહકાર્યકર્તા અને સમાજસેવી વ્યકિતત્વ તરીકે તેમની સાથે પૂરક બનીને, એકબીજાને સાથે રાખીને જે સફળતા મેળવી છે તેની પણ મુકત મને વાત શેર કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ તેમની પુત્રીની પણ લાગણીશીલતા, તેમના પ્રત્યેની ચિંતા અને રૂજુતા પણ નારીશકિતના યોગદાનની ભાવવંદના કરતા વર્ણવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ તહેવારોના સમયમાં વધુ કાળજી, સતર્કતા રાખીને માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સીંગ અને વારંવાર હાથ ધોવા-સેનીટાઇઝ કરવા જેવી આદતો કેળવવા સૌને આ સંદેશ દ્વારા હૃદયપૂર્વક અપિલ કરી હતી.

(11:43 am IST)