Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

અસંગઠિત શ્રમયોગી કર્મીને મહિને ૩૦૦૦ પેન્શન મળશે

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ પેન્શનઃ ૩.૬૦ લાખ શ્રમયોગીઓને યોજના હેઠળ સમાવી લેવાયા

અમદાવાદ,તા.૧૬: પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમયોગીઓ જેવા કે ફેરિયાઓ, રીક્ષા ચાલકો, બાંધકામ શ્રમયોગીઓ, કચરો વીણનાર, બીડી કામદારો, ખેત શ્રમિકો, ડ્રાઇવર, દરજી, મોચી ઘરેલુ કામદારો, સ્વરોજગારી મેળવતા શ્રમયોગીઓ વગેરેને વૃદ્ધાવસ્થામાં પેન્શનનો લાભ મળી રહે તે હેતુથી શ્રમયોગીઓને પ્રતિમાસ ૩૦૦૦/- પેન્શન મળશે. આવા અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલ શ્રમયોગીઓ કે જેની આવક માસિક ૧૫,૦૦૦/-કે તેથી ઓછી છે અને ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ છે તેવા અસંગઠિત શ્રમયોગીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. ગુજરાત રાજ્યમાં કુલ ૩.૬૦ લાખ અને સમગ્ર દેશમાં કુલ ૩૨.૬૮ લાખ શ્રમયોગીઓને આ યોજના અંતર્ગત સમાવી લેવાયા છે.

આ યોજના હેઠળ નોંધાયેલ શ્રમયોગીઓની ઉંમરના પ્રમાણમાં ૫૫ થી ૨૦૦ સુધીનો માસિક ફાળો સીધો તેઓના બેંક ખાતામાંથી કપાશે. આ ફાળાની રકમ શ્રમયોગી ૬૦ વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી દર માસે ભરવાનો રહેશે. દર માસે લાભાર્થીના ફાળા જેટલો જ ફાળો ભારત સરકાર દ્વારા પણ જે તે શ્રમયોગીના ખાતામાં જમા કરાવવામાં આવશે. ત્યારબાદ લાભાર્થી જ્યારે ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારથી દર માસે ૩૦૦૦/- નિશ્ચિત પેન્શન તેને મળશે. પેન્શન શરૂ થયા બાદ જો શ્રમયોગીનું અવસાન થાય તો તેના પતિ-પત્નીને અડધું એટલે કે રૂ.૧૫૦૦/- પેન્શન દર માસે મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા અસંગઠિત શ્રમયોગીઓને ફક્ત આધાર કાર્ડ, સેવિંગ બેંક અથવા જનધન બેંક ખાતાની વિગતો, વપરાશમાં હોય તે મોબાઇલ ફોન અને પ્રથમ ફાળાની રકમ જ સાથે લઇને નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે એનપીએસ, ઈપીએફ તથા ઈએસઆઈસીનો લાભ લેતાં અને આવકવેરો ભરતાં શ્રમયોગીઓ આ યોજના હેઠળ જોડાઇ શકશે નહિ.

(10:16 pm IST)